સ્પીકરે બળવાખોર જૂથને આપી 'અસલી' પાર્ટી તરીકે માન્યતા
કૉલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી તત્કાલીન સત્તાધારી પાર્ટી (ટીએમસી)ના વળતા પાણી શરુ થયા છે. મમતા બેનરજી પાસેથી સત્તા છીનવવામાં આવ્યા પછી હવે પાર્ટીના નેતાઓએ બળવો કરીને પાર્ટીના બે ફાડિયા કરીને મમતા બેનરજીને ઘરનો રસ્તો બતાવવામાં સફળ રહ્યા છે. પાર્ટીમાં બળવા પછી વિપક્ષના નેતા તરીકે મમતાના જૂથને બહુમતી મળી નથી. એટલે વિધાનસભાના સ્પીકર રવિન્દ્ર નાથ બોઝે ઋતબ્રત બેનરજીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપીને મમતાને ઝટકો આપ્યો છે.
મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આખરે તૂટી ગઈ છે. પાર્ટીના એક નવા જૂથે ઋતબ્રત બેનરજીને પોતાના નવા વિપક્ષના નેતા બનાવી દીધા છે, જે હવે વિધાનસભામાં બેસશે. તૃણમૂલ કોંગ્રેસના 80માંથી 58 ધારાસભ્યોએ ઋતબ્રત બેનરજીના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો. જ્યારથી તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી છે ત્યારથી પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ છે. એક સમયે મમતા દીદીની જીદ અને બીજી તરફ ધારાસભ્યોને ઓફર આપવાના આક્ષેપ સાથે રોજ નવા નવા રાજકીય ગતકડાં વચ્ચે પાર્ટીમાં વિભાજન પછી સ્પીકરે પણ બળવાખોર જૂથને અસલી પાર્ટી ગણાવી છે.
આંતરિક અસંતોષ સામે આવ્યો
આ પછી પાર્ટીના જ એક જૂથે વરિષ્ઠ ગણાતા નેતા ઋતબ્રત બેનરજીએ પોતાના નવા અને વિપક્ષના નેતા તરીકે જાહેર કરી દીધા હતા. એટલું જ નહીં પક્ષના જ એક નેતાએ કહ્યું હતું કે, તેઓ હવે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે બેસશે. હકીકત એવી છે કે, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કુલ 80માંથી 58 ધારાસભ્યોએ ઋતબ્રત બેનર્જીના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો. એમને સર્વસંમતિથી પોતાના પક્ષના વિપક્ષ નેતા તરીકે નિયુક્ત કર્યા હતા.
દાવો એવો પણ થઈ રહ્યો છે કે, તૃણમૂલ કોંગ્રેસમાં હવે આંતરિક અસંષોત ચરમસીમાએ છે. બે ધારાસભ્યો સતત આ નવા જૂથના સંપર્કમાં હતા. આ કારણે બળવાખોર જુથનું પલડું ભારી થઈ ગયું હતું. ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષ તરીકે બેસવા માટેની માન્યતા પણ મળી ચૂકી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષે મને વિપક્ષના નેતા તરીકે મંજૂરી આપી છે. હવે પૂરી જવાબદારી નિભાવીશ.
પ્રજાના પ્રશ્નો ઊઠાવશે
પોતાની વાત આગળ કરતા બેનર્જીએ ઉમેર્યું કે, હું પૂરી જવાબદારી સાથે મારા કર્તવ્યનું પાલન કરીશ અને પ્રજાના પ્રશ્નો ઊઠાવીશ. હવે નવા તૈયાર થયેલા વિપક્ષના જૂથમાં ચાર નેતાઓને ડેપ્યુટી લીડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, જેમા જાવેદ ખઆન, સબીના યાસ્મીન, સંદીપન સાહા અને સિઉલી સાહાનો સમાવેશ થાય છે. બેનર્જીએ કહ્યું કે, હજુ પણ અમારા નેતા મમતા દીદી જ છે. તેઓ અમારા એડવાઈઝ તરીકે કામ કરશે. અમે ભવિષ્યમાં એમનું માર્ગદર્શન જોઈએ છે.
વિધાનસભામાં બેનર્જીએ પોતાના આ જૂથને અસલી તૃણમૂલ કોંગ્રેસ ગણાવી છે. 58 ધારાસભ્યોની જે અમારી ટીમ છે એ ચૂંટણી ચિહ્ન પર જીતનો નિશાનો લઈનો વિધાનસભા સુધી પહોંચી છે.અન્ય બે ધારાસભ્યો છે એ પણ આ જૂથમાં જોડાઈ શકે છે. એવું તેમણે અંતમાં કહ્યું. વાસ્તવિકતા એ પણ છે કે, હવે તૃણમૂલ કોંગ્રેસમાં પણ હવે બેનર્જીનું જૂથ અને એક દીદી તથા અભિષેકના સમર્થકો અંગે ચર્ચા શરૂ થઈ છે.
દીદીનું નામ ક્યાંય નહીં
વાસ્તવિકતા એ પણ છે કે, હજુ સુધી વિધાનસભાના સ્પીકરે મમતા બેનર્જીનું નામ ક્યાંય લીધું નથી, જ્યારે બળવાખોર જૂથના એક સભ્યએ પોતાના એક પત્રમાં મમતા દીદીને અધ્યક્ષની ઉપાધિ આપી દીધી છે. વિવાદ એ પણ સપાટી પર આવ્યો જ્યારે વિપક્ષના નેતાની પસંદગી વખતે એક પ્રસ્તાવ પર ખોટી સહી કર્યાનો આરોપ લાગ્યા બાદ ઋતબ્રત બેનર્જી તથા સંદીપન સાહાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ પછી તૃણમૂલ કોંગ્રેસમાં અંતરનું વાતાવરણ બદલાયું. મમતાએ જે બે નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા એ પણ આ જ હતા. હવે તેઓ વિપક્ષના મોટા નેતા તરીકે આવતા ફરી સમીકરણ બદલાયા છે. સાહા અને બેનરજીએ સામા આરોપ એવા મૂક્યા હતા કે, ફરિયાદ કરી હોવા છતા કોઈ સાંભળતું ન હતું.