Sun Mar 08 2026

Logo

સરકાર લોકોને અસલી ‘બાલભારતી’ પાઠ્યપુસ્તકો ઓળખવા માટે જાગૃતિ અભિયાન શરૂ કરશે: પ્રધાન...

1 week ago
Author: vipulbv
Article Image

દાદાજી ભૂસે


મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી એક જાગૃતિ અભિયાન શરૂ કરશે જેથી લોકોને તેની સત્તાવાર એજન્સી ‘બાલભારતી’ દ્વારા પ્રકાશિત અસલી પાઠ્યપુસ્તકો ઓળખવામાં મદદ મળે, એમ રાજ્યના એક પ્રધાને શુક્રવારે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું હતું.

નીચલા ગૃહમાં પ્રશ્ર્નકાળ દરમિયાન લેખિત જવાબમાં, શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદાજી ભૂસેએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2025માં નાગપુર જિલ્લામાં એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાંથી બાલભારતી દ્વારા ડિઝાઇન અને પ્રકાશિત પાઠ્યપુસ્તકોની 20,000 થી વધુ નકલી નકલો જપ્ત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે નાગપુરના હિંગણા એમઆઈડીસી વિસ્તારમાં પ્રેસની તપાસ દરમિયાન ધોરણ 9 થી 12 માટે પાઠ્યપુસ્તકોના ગેરકાયદે છાપકામની ઘટના પ્રકાશમાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક ઉત્પાદન અને અભ્યાસક્રમ સંશોધન બ્યુરો અથવા બાલભારતીના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું, જેના પગલે સંબંધિત વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રિન્ટિંગ પ્રેસના માલિકની ધરપકડ કરવામાં આવી હતી અને નકલી પુસ્તકોનો સ્ટોક જપ્ત કરવામાં આવ્યો હતો, એમ તેમણે જવાબમાં ઉમેર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે સરકારે રાજ્યભરના તેના પ્રાદેશિક અધિકારીઓને આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે જ્યાં જરૂર હોય ત્યાં ખાનગી પ્રિન્ટિંગ પ્રેસનું નિરીક્ષણ કરવા તાકીદ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, આ શૈક્ષણિક વર્ષથી વાસ્તવિક પાઠ્યપુસ્તકો ઓળખવામાં મદદ કરવા માટે, સત્તાવાર પાઠ્યપુસ્તકોના નિયુક્ત પૃષ્ઠો પર ક્યુઆર કોડ છાપવામાં આવશે, તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓ, વાલીઓ અને પુસ્તક વિક્રેતાઓને માહિતી આપવા માટે મે અને જૂનમાં મીડિયા દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.