Mon May 11 2026

Logo

ઓબીસી અનામતનું કોકડું: દેવેન્દ્ર ફડણવીસ અનામતને લગતી ટેકનિકલ સમસ્યાનો ઉકેલ લાવી શકશે?

2026-05-11 19:31:36
Author: Vipul Vaidya
Article Image

વ્યાકરણની માત્રાને લગતી નજીવી ભૂલને કારણે દોઢ દાયકાથી 27 જાતીઓને અનામતનો લાભ મળતો નથી

વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રમાં 27 ઓબીસી જાતિઓને વ્યાકરણની ભૂલોને કારણે 15 વર્ષથી અનામતના લાભ મળતા નથી અને હવે ફડણવીસે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન આપ્યું છે, પરંતુ શું તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવી શકશે? એના પર બધાની નજર છે. મરાઠા અને ધનગર જાતીઓ અનામત માટે મહારાષ્ટ્રમાં રસ્તા પર ઉતરીને મોટા આંદોલનો કરી રહ્યા છે, ત્યારે 27 ઓબીસી જાતિઓનો છેલ્લા દોઢ દાયકાથી મૌન સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષ કોઈ નવા કાયદા માટે નથી, પરંતુ સરકારી દસ્તાવેજોમાં વ્યાકરણની રીતે સાચા નામો નોંધાયેલા છે તેની ખાતરી કરવા માટે છે. 

મહારાષ્ટ્ર રાજ્ય કાર્યકારી સમિતિના જણાવ્યા અનુસાર, જાતિના નામોમાં નાના ભાષાકીય તફાવતો, જેમ કે ‘ઉકાર’ અથવા ‘ઈકાર’ના તફાવતને કારણે શબ્દમાં ખોટી જોડણી થઈ રહી છે. જેને કારણે કેન્દ્રીય સામાજિક ન્યાય વિભાગ આ સમુદાયોને પ્રમાણપત્રો આપવામાં અવરોધ લાવી રહ્યા છે.ભાજપના ઓબીસી નેતા અને વિધાનસભ્ય પરિણય ફુકેએ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતને ગંભીરતાથી લીધી છે. છેલ્લા છ મહિનાથી આ બાબતે કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે એક વિગતવાર અહેવાલ તૈયાર કરીને કેન્દ્રીય ઓબીસી મંત્રાલય અને સંબંધિત બોર્ડને સુપરત કર્યો છે. હવે, આ જોડણીની ભૂલને કાયમ માટે દૂર કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

શિક્ષણ અને નોકરીઓમાં ભારે નુકસાન
સમિતિના અધ્યક્ષ શ્રવણ ફરકડે અને જીતેન્દ્ર ફરકડે કહે છે કે આ ટેકનિકલ ભૂલોના પરિણામો અત્યંત ભયંકર છે. જ્યારે આ જાતિઓને રાજ્યમાં લાભ મળે છે, ત્યારે કેન્દ્રીય સંસ્થાઓ, યુપીએસસી, એસએસસી અથવા પ્રમોશનની વાત આવે ત્યારે, જો જોડણી કેન્દ્ર સરકારના નિયમો સાથે મેળ ખાતી નથી, તો તેમને ‘જનરલ’ શ્રેણીમાં ધકેલી દેવામાં આવે છે. છેલ્લા 15 વર્ષોમાં, એક ‘માત્રા’ની ભૂલને કારણે હજારો મેરીટરી વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર અથવા અધિકારી બનવાનું ચૂકી ગયા છે.

કાગળોમાં ફસાયેલું ભવિષ્ય
આશ્ર્ચર્યજનક રીતે, જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્રીય ઓબીસી કમિશન પહેલાથી જ સુધારાની ભલામણો સબમિટ કરી ચૂક્યા છે, ત્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય વિભાગમાં પ્રક્રિયા અત્યંત ધીમી છે. કૃતિ સમિતિનો આરોપ છે કે આ વહીવટી ધીમી ગતિએ સમુદાયોમાં વ્યાપક રોષ ફેલાયો છે. આ ફક્ત ભાષાકીય સુધારો નથી, પરંતુ બે કરોડ લોકોના બંધારણીય અધિકારોને પુન:સ્થાપિત કરવાનો મામલો છે.

બે પેઢીઓનું બલિદાન
શ્રવણ ફરકડેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તકનીકી ભૂલોને કારણે બે પેઢીઓ તેમના અધિકારોથી વંચિત રહી છે. જ્યારે અન્ય સમુદાયો અનામતની માગણી કરી રહ્યા છે, ત્યારે આ 27 જાતિઓ તેમની ઓળખ સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. હવે જ્યારે મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય સ્તરે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ સમુદાયોને આશા છે કે આ 15 વર્ષનો ‘વનવાસ’ ટૂંક સમયમાં સમાપ્ત થશે.