નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ટીએમસીની કારમી હાર થઇ છે. તેમજ ભાજપ સત્તામાં આવી છે. ત્યારે ઇડીએ કોલકાતા પોલીસના ડીસીપી શાંતનુ સિંહા બિશ્વાસ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ માટે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે.
એક પણ વખત એજન્સી સમક્ષ હાજર થયા ન હતા
આ અંગે ઈડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલું એટલા માટે લેવામાં આવ્યું કારણ કે તેમને અનેક સમન્સ ઇસ્યુ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડીએ શાંતનુ સિંહા બિશ્વાસને પાંચ વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તેઓ એક પણ વખત એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. તેમની સતત ગેરહાજરી બાદ, એજન્સીને શંકા હતી કે તેઓ દેશ છોડવાનો પ્રયાસ કરી શકે છે. તેથી લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર લુકઆઉટ નોટિસ અપાઈ
આ ઉપરાંત લુકઆઉટ નોટિસ તમામ એરપોર્ટ રેલ્વે સ્ટેશન અને અન્ય મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર ફરતી કરવામાં આવી છે. જેથી શંકાસ્પદ વ્યક્તિઓ દેશ છોડીને ન જાય અને તપાસ આગળ વધી શકે. લુકઆઉટ સર્ક્યુલર એ તપાસ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલ એક એલર્ટ છે જેથી કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને દેશ છોડીને ભાગી ન જાય. જેમાં ઇમિગ્રેશન વિભાગને એલર્ટ પર રાખવામાં આવે છે.
શાંતનુ સિંહા બિશ્વાસના મમતા શાસન સાથે ગાઢ સંબંધો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીસીપી શાંતનુ સિંહા બિશ્વાસનું નામ મમતા શાસન સાથે ગાઢ સંબંધોને કારણે ચર્ચાનો વિષય રહ્યું છે. તાજેતરમાં ઇડીએ તેમના પરિસરમાં દરોડા પાડ્યા હતા અને તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. જોકે, તેઓ એજન્સી સમક્ષ હાજર થવામાં નિષ્ફળ ગયા હતા. પરિણામે, તપાસ એજન્સીને શંકા છે કે તેઓ દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી શકે છે.