Thu Jun 25 2026

Logo

કિતાબી દુનિયા આપણો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો

2026-03-22 11:50:00
Author: Jyotsana Tanna
Article Image

 

આપણો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસો

સંકલન : સુધા વજરિયા મૂલ્ય રૂ. 350 (કુરિયર ફ્રી)

પ્રકાશક : હેમંત એન. ઠક્કર, એન. એમ. ઠક્કરની કંપની, ગોવિંદ બિલ્ડિંગ, 140 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-400002. મો. નં. 99674 54445.
હિન્દુ ધર્મના પ્રખ્યાત ગ્રંથો ભગવદગીતા, ઉપનિષદો, પુરાણો, રામાયણ, ષોડશ સંસ્કાર, કર્મયોગ, પુનર્જન્મ, વિજ્ઞાન અને ધર્મ યોગ, પ્રાણત્યાગ, શ્રીમદ્ ભાગવત, રાજયોગ, હઠયોગ, કર્મનો સિદ્ધાંત વિશે વિગતવાર માહિતી આપતો આ ગ્રંથ છે.  સુધાબેન મુંબઇની ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ સોશ્યલ સાયન્સના સ્કોલર. તેમને એડવોકેટ  વિશ્ર્વનાથનું ‘એમ.આઇ.અ હિન્દુ’ પુસ્તક વાંચીને આ પુસ્તક લખવાની પ્રેરણા મળી. આ પુસ્તક ધર્મ અને આધ્યાત્મમાં રસ ધરાવનાર સૌએ વસાવવા જેવું વાગોળવા જેવું છે.

ગીતા પરિચય

લેખક : એડવોકેટ જગદીશ શાહ
મૂલ્ય રૂ. 150 (કુરિયર ફ્રી) પ્રકાશક.
એન. એમ. ઠક્કરની કંપની, 
140 પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઇ-400002. મો. નં. 99674 54445.

ભગવદગીતાના અઢાર અધ્યાયનો સાર અને વિવેચન રજૂ કરતું પુસ્તક. આ પુસ્તક માટે હરિભાઇ કોઠારી લખે છે. ચાલીસેક વર્ષના સઘન અભ્યાસ પછી ‘ગીતા પરિચય’  પુસ્તક બહાર પડે છે. જગદીશભાઇ મુલુંડમાં પૂ. દાદનુ (પૂ. પાંડુરંગ શાસ્ત્રીનું) ‘બાલ સંસ્કાર કેન્દ્ર’ ચલાવતા હતા. દરેક અધ્યાયને અંતે તેમણે આપેલી ટૂંક નોંધ અધ્યાય વચ્ચે સેતુસંધ બની રહે છે. સંત વિનોબા, દાદા ધર્માધિકારી, આચાર્ય શંકર, મહાપ્રભુ, વલ્લભાચાર્ય, સંત જ્ઞાનેશ્વર, યોગમાર્ગી અરવિંદના ગીતા વિશેના પુસ્તકોનો અભ્યાસ કર્યા બાદ આ તમામ મહાપુરુષોના ગીતાના દરેક અધ્યાય ઉપરના વિચારો આ સુંદર પુસ્તકમાં રજૂ થયા છે. ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્રીય અસ્મિતા ઊભી કરવાની ક્ષમતા ગીતામાં છે તે એમણે અસંદિગ્ધ રીતે પ્રતિપાદિત કરી બતાવ્યું છે. દરેક ઘરમાં આ પુસ્તક હોવું જોઇએ.

શ્યામ સમીપે

રચયિતા : જયોત્સના તન્ના

મૂલ્ય રૂ. 250 (કુરિયર ફ્રી) પ્રકાશક: હેમંત એન. ઠક્કર. એન.એમ.ઠક્કરની કંપની, મો. નં. 99674 54445, 140 પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ-400002. 

કૃષ્ણ એ સ્વયં કાવ્યપુરુષ છે. છંદ એનાં તોફાનો છે લય એની મસ્તી છે. ભારતના સાંસ્કૃતિક જગતમાં અનેક પાત્રો એવાં વણાઇ ગયાં છે કે એનું અસ્તિત્વ જુદું થઇ શકે તેમ નથી. લેખિકાએ આ પુસ્તકમાં દ્રૌપદી, રાધા, મીરા અને તમિલ  કવયિત્રી આંડાલ (દક્ષિણ ભારતની મીરાં) ના ચરિત્રોનું અદ્ભુત આલેખન કર્યું  છે. ઉપરાંત પૌરાણિક દૃષ્ટિએ કૃષ્ણને જોવા, જાણવાનો, માણવાનો સહજપણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આ પુસ્તક વાંચવા જેવું, વસાવવા જેવું અને વાગોળવા જેવું છે. રાધા, દ્રૌપદી અને મીરાં વિશે જયોત્સનાબેને ખૂબ સંશોધન કર્યા બાદ આ પુસ્તક લખ્યું છે.