બેંગલુરુ : કર્ણાટકના ગૃહમંત્રી પ્રિયાંક ખડગે અને યુવા કોંગ્રેસના નેતા મોહમ્મદ નલપડને આરએસએસ વિરુદ્ધ કરેલી ટિપ્પણી અંગે બેંગલુરુની એક કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. તેમજ 21 જુલાઇ સુધી જવાબ માંગ્યો છે. આ કેસની વિગત મુજબ આરએસએસ વિરુદ્ધ પ્રિયાંક ખડગે વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની બાદ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું.
ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો
આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે, પ્રિયાંક ખડગે અને મોહમ્મદ નલપડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે. આ બાબતને ફોજદારી કેસ તરીકે નોંધવા અને આરોપી નં. 1 અને 3 ને સમન્સ ઇસ્યુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જેમાં 21 જુલાઈ, 2026 સુધીમાં જવાબ માંગવામાં આવ્યા છે. જોકે, કોર્ટે કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી દિનેશ ગુંડુ રાવ સામે કાર્યવાહી શરૂ કરવાનો ઇનકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અરજી બેંગલુરુના રહેવાસી અને આરએસએસ કાર્યકર એ. તેજસ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમણે આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ ઓક્ટોબર 2025 માં આરએસએસ અને તેના સભ્યોને નિશાન બનાવતા અનેક બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા હતા.
આરએસએસને પ્રતિબંધિત કરવાની માંગ કરતો પત્ર લખ્યો
આ ફરિયાદ મુજબ મંત્રી તરીકે સેવા આપતી વખતે, પ્રિયાંક ખડગેએ 4 ઓક્ટોબર 2025 ના રોજ કર્ણાટક સરકારને પત્ર લખીને માંગ કરી હતી કે આરએસએસને સરકારી રમતના મેદાનો, શાળાઓ અને કોલેજોનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવે. તેમજ ફરિયાદીનો આરોપ છે કે આ પત્ર જાણી જોઈને મીડિયાને જાહેર કરવામાં આવ્યો હતો અને સંગઠનને બદનામ કરવાના ઇરાદાથી ખડગેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો.