બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્ય પ્રધાન તરીકે ડી. કે. શિવકુમારના શપથગ્રહણ પહેલા જ રાજ્યના નેલમંગલા તાલુકામાં ઉત્સવ જેવા માહોલનું નિર્માણ થયું છે. અહીં જેમ કોઈ મોટો પ્રસંગ આદર્યો હોય તેવી રોનક જોવા મળી રહી છે. જોકે ઉત્સાહ અને ખુશીને લોકો સુધી પહોંચાડવા માટે અંદાજે 10 લાખ લાડવા બનાવવાની તૈયારી કરવામાં આવી છે અને આ માટે લગભગ 250થી 300 જેટલા કારીગરોને કામગીરીમાં જોતરી દેવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થાની દેખરેખ કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસના શિરે છે.
મળતી વિગતો અનુસાર હાલ આ તૈયાર તૈયાર કરવામાં આવી રહેલા કરેલા લાડુઓને પેક કરીને નેલમંગલા તાલુકાના આશરે 80,000થી 90,000 ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય જ્યારે ડી.કે. શિવકુમારના રાજ્ય સરકારના ખૂબ ઊંચા પદની ધૂરા સાંભળી રહ્યા છે ત્યારે તેની ખુશીને સામાન્ય લોકોની સાથે ઉજવવાનો છે. જ્યાં લાડુ બનાવવામાં આવી રહ્યા હતા તે સ્થળની ધારાસભ્ય શ્રીનિવાસ પોતે મુલાકાત લીધી હતી અને સમગ્ર તૈયારીઓ તેમ જ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે ત્યાં મોટી સંખ્યામાં કારીગરો લાડુ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં નવી કોંગ્રેસ સરકારની રચના માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ડીકે શિવકુમાર 3 જૂને બેંગલુરુમાં મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું દિલ્હી નિવાસસ્થાન રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું છે.
કાર્યકારી મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ત્યાં બેઠકો યોજી હતી. આ બેઠકોમાં નવા પ્રધાન મંડળની રચના, પ્રધાન પદોની વહેંચણી, નાયબ મુખ્ય પ્રધાનની પસંદગી અને સંગઠનાત્મક ફેરફારો અંગે ચર્ચા કરવામાં આવી હતી.