Thu Apr 30 2026

Logo

તસવીરની આરપારઃ જામનગરનો ભૂજિયો કોઠો નવા રંગ રૂપ સાથે તૈયાર..

2026-04-08 10:50:00
Author: Bhatti N
Article Image

 


ભાટી એન.


જામનગર (નવાનગર)માં આમ તો અસંખ્ય પ્રાચીન સ્થળો આવેલા છે. એટલે જ જામનગર છોટા કાશી તરીકે ઓળખાય છે. જામનગરમાં આમ તો અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. અહીં રાજાશાહી વખતની અનેક ઇમારતો અને મહેલો આજે પણ અડીખમ ઊભી છે. આ ઐતિહાસિક સ્મારકને કારણે જામનગરની સુંદરતમાં ચાર ચાંદ લાગી રહ્યાં છે. જો કે આ બધા સ્મારકમાં સૌથી ખાસ છે ભૂજિયો કોઠો. 


(Bhujiyo Kotho) અંદાજે 174 વર્ષ પહેલા બનેલા આ ઐતિહાસિક સ્થળનું કામ પૂર્ણ થઈને 19 મી માર્ચ 2026 નાં પબ્લિક માટે ખુલ્લો મુકાયેલ છે, પરંતુ ભૂજિયો કોઠોની ઇમારત પોતાના ઘેરાવ અને ઊંચાઇને કારણે ખૂબ જ લોકપ્રિય છે. ભૂજિયો કોઠા રાજ્યનું સૌથી ઊંચું રક્ષિત સ્મારક છે જેની ઉંચાઈ 200 ફૂટ છે.


વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ આવેલા ભયાનક ભૂકંપના આંચકાને કારણે ભૂજિયો કોઠાની ઇમારતને ઘણું નુકસાન પહોંચ્યું હતું. ત્યારબાદ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત આ ઇમારતનું રેસ્ટોરેશન, રિહેબિલિટેશનનું કામ પૂર્ણ થતા. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે 23.75 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ મનાય છે. જામનગરના હેરિટેજ વારસાને સંરક્ષિત કરવા માટે આ કામગીરીના ફેઝ-2માં ખંભાળીયા ગેટ, ભૂજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લાખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવામાં આવી રહ્યા છે.
 

વાત કરવામાં આવે ભૂજિયો કોઠાની તો અહીં પાંચ માળનું બાંધકામ છે અને છઠ્ઠો માળ વોચ ટાવર છે. જ્યાંથી ચારેય બાજુ વોચ રાખવામાં આવતી હતી. વર્ષો પહેલા અહીં રાજાઓ દ્વારા શસ્ત્રો રાખવામાં આવતા હતા. વર્ષ 1890, 1895 અને 1902માં જામનગરમાં કાળમુખા દુષ્કાળ પડ્યા હતા. એ વખતના રાજાઓ દ્વારા દુષ્કાળમાં પ્રજાને રોજીરોટી મળી રહે તે હેતુથી શહેરમાં અનેક બાંધકામ કરાવવામાં આવ્યા હતા. જેમાં ભૂજિયો કોઠોનો પણ સમાવેશ થાય છે. ભૂજિયો કોઠોના બાંધકામમાં અંદાજે 13 વર્ષ લાગી ગયા હતા. જામનગરની ઐતિહાસિક ઈમારત પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છે.


કહેવાય છે કે આ સ્મારકની ટોચ પર ઊભા રહીને જોતા કચ્છનું ભુજ શહેર દેખાતું હતું. આથી જ આ ઇમારતનું નામ ભૂજિયો કોઠો રાખવામાં આવ્યું છે. જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભૂજિયો કોઠો હવે તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર થઈ ગયો છે, અને તા.19મી માર્ચ 2026નાં પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લાંબા સમયથી ચાલતી રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થતાં શહેરને એક મહત્ત્વપૂર્ણ હેરિટેજ ભેટ મળી છે. તસવીરમાં ધરતીકંપ પહેલા, ધરતીકંપ પછી અને અત્યારે બનેલ ભજિયો કોઠો જુઓ.