Thu Apr 30 2026

Logo

આખરે 'જી લે ઝરા'ફિલ્મ અંગે ફરહાને મૌન તોડ્યું, પ્રોજેક્ટ ડિલે થવા પાછળનું કારણ જાહેર

2026-04-29 22:56:11
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ ડાયરેક્ટર-એક્ટર ફરહાન અખ્તર પોતાની ફિલ્મ 'ડોન-3'ને લઈને ચર્ચામાં છે એવું નથી પણ 'જી લે ઝરા' ફિલ્મની સ્ટારકાસ્ટને લઈને પણ એની વાતો થઈ રહી છે. 'ડોન-3'માંથી રણવીરસિંહની એક્ઝિટ બાદ અલગ અલગ વાવડ મળી રહ્યા છે. સમાચાર એવા પણ મળી રહ્યા છે કે, 'જી લે ઝરા' ફિલ્મની સ્ટારકાસ્ટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ફરહાન અખ્તરે પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે આ ફિલ્મનું એલાન કર્યું હતું. લાંબા સમયથી આ પ્રોજેક્ટ અધૂરો છે. આ ફિલ્મનું એલાન વર્ષ 2021માં થયું હતું પણ હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ પ્રકારની અપડેટ જોવા મળી નથી. 

મૌન તોડીને જવાબ આપ્યો
હવે આ પ્રોજેક્ટને લઈને ફરહાન અખ્તરે મૌન તોડ્યું છે. આ ફિલ્મમાંથી આલિયા, કેટરિના અને પ્રિયંકા ચોપરાનું નામ હજુ સુધી નક્કી નથી. ફરહાને કહ્યું હતું કે, હું મારી ફિલ્મને લઈને કોઈ પ્રકારનો રાઝ ઊભો નથી કરતો, આ ફિલ્મને લઈને જ્યારે પણ કોઈ મોટી અપડેટ આવશે ત્યારે અવશ્ય શેર કરીશ.પ્રિયંકા, આલિયા અને કેટરિનાની વાતને લઈ ડાયરેક્ટરે કહ્યું કે, ઘણી બધી વાત અફવા હોય છે. ફિલ્મ બનાવું છું ત્યારે કોઈ વાત હું છુપાવતો નથી. જ્યારે પણ એવું લાગશે કે, કોઈ વસ્તુ તૈયાર છે અને લોકો સામે રાખવી જોઈએ ત્યારે એ અંગે સ્પષ્ટતા કરીશ. આગળના સમયમાં પણ હું શેર કરતો રહીશ.

પોસ્ટ મૂકીને જાહેરાત કરી હતી
ફરહાન અખ્તરે 2021 માં એક વિગતવાર સોશિયલ મીડિયા પોસ્ટ સાથે 'જી લે ઝારા'ની જાહેરાત કરી હતી. ફિલ્મની જાહેરાત કરવા માટે પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો ત્યારથી, દર્શકો પ્રિયંકા, કેટરિના અને આલિયાને સ્ક્રીન પર એકસાથે જોવાની તકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે,જોકે આ પ્રોજેક્ટ અંગે કોઈ નવી અપડેટ્સ હજુ સુધી સામે આવી નથી.ફરહાન અખ્તરના તાજેતરના નિવેદનો સૂચવે છે કે, ફિલ્મને લગતી અનિશ્ચિતતાઓ હજુ પણ યથાવત છે, હજુ સુધી પુષ્ટિ કરી નથી કે, તેઓ મૂળ કલાકારો સાથે આગળ વધવાનો ઇરાદો ધરાવે છે કે નહીં.

મોડું થવા પાછળનું કારણ
પ્રિયંકા, કેટરિના અને આલિયાને બદલે કોઈ નવા કલાકાર આવશે એ પણ હજું નક્કી નથી. ફરહાન અખ્તરે સ્વીકાર્યું કે તે હાલમાં આત્મનિરીક્ષણના તબક્કામાં છે. તાજેતરમાં તેમના જીવનમાં નોંધપાત્ર ફેરફારો થયા છે તે નોંધતા, તેમણે કોઈપણ ચોક્કસ નિર્ણય લેતા પહેલા અનેકવાર વિચાર કરે એ સમજી શકાય છે. ગત વર્ષે એવા રિપોર્ટ મળ્યા હતા કે, આ ફિલ્મનું કામ શરૂ થઈ ગયું છે. પણ ડાયરેક્ટરના નિવેદન પરથી સ્પષ્ટ છે કે, કોઈ પ્રોજેક્ટ ઓન ફ્લોર થયો નથી, જોકે હકીકત એ પણ છે કે, ત્રણેય એક્ટરની ડેટ સાથે મળે એમ નથી. બીજી તરફ અન્ય લીડ એક્ટર મળવા પણ કઠિન છે. કારણ કે મેકર્સ એક સાથે ત્રણ ત્રણ કલાકારોને કાસ્ટ કરવા માગે છે. આવા કેટલાક કારણોસર આ પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યો છે.