જયપુર: પિંક સિટી જયપુરમાં આજે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી એકવાર ગર્જવા જઈ રહ્યું છે. માલવીય નગરના નંદપુરી અંડરપાસ પાસે રસ્તાને 80 ફૂટ પહોળો કરવા માટે જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી (JDA) દ્વારા એક મોટું બુલડોઝર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મોટા ઓપરેશન અંતર્ગ 5 ધાર્મિક સ્થળોના ગેરકાયદેસર બાંધકામોને હટાવવાની કામગીરી કરવામાં આવશે.
કલમ ૧૬૩ લાગુ, લોકોની અવરજવર પર કડક પ્રતિબંધ
જે 5 ધાર્મિક સ્થળો સામે આ કાર્યવાહી થવાની છે, તેમાં એક મસ્જિદ, એક મઝાર, એક સત્સંગ ભવન અને બે મંદિરોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ મામલે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધાર્મિક સ્થળોને હટાવવાની સંવેદનશીલ કાર્યવાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે સમગ્ર વિસ્તારમાં કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે.. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ સાથે જ વહીવટી તંત્રએ માલવીય નગરના આસપાસના સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
અફવાઓ રોકવા ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ
આ એક્શનને કારણે શહેરમાં કોઈ કોમી તણાવ કે અફવાઓ ન ફેલાય તે માટે સાયબર ટીમને એક્ટિવ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને આગોતરા પગલાં પણ લેવામાં આવ્યાં છે. જયપુર નોર્થ અને ઈસ્ટ પોલીસ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં 24 કલાક માટે એટલે કે 9 જૂનની રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. ઈન્ટરનેટ આધારિત મેસેજિંગ સેવાઓ અને બલ્ક SMS પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ સાથે વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા તમામ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કામચલાઉ ધોરણે બંધ રહેશે.
ડ્રોન અને 3000થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સર્વેલન્સ
આ પ્રતિબંધોમાંથી માત્ર સરકારી ઇમરજન્સી સેવાઓ અને વોઇસ કોલિંગ (સામાન્ય ફોન કોલ્સ) ને જ મુક્તિ આપવામાં આવી છે. બુલડોઝર એક્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે માટે જયપુર પોલીસ કમિશનરેટ એલર્ટ મોડ પર છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત ફોર્સ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે સમગ્ર શહેરમાં 3,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. JDAની માંગ પર રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી (RAC) ની 12 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, આખા વિસ્તારમાં સ્થિતિ પર કાબૂ રાખવા માટે ડ્રોન કેમેરા અને CCTV નેટવર્ક દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
શા માટે કરવામાં આવી રહી છે આ કાર્યવાહી?
હાલમાં જે રોડ પર આ બાંધકામો આવેલા છે તેની વાસ્તવિક પહોળાઈ માત્ર 25 થી 30 ફૂટ જ છે, પરંતુ સરકારી રેકોર્ડ અને માસ્ટર પ્લાન મુજબ આ રસ્તો 80 ફૂટ પહોળો નોંધાયેલો છે. રસ્તાની બંને બાજુએ વર્ષોથી ગેરકાયદેસર મકાનો અને ઇમારતો બની ગઈ હતી, જેને હવે તંત્ર હટાવી રહ્યું છે. નંદપુરી અંડરપાસથી જગતપુરાને જોડતો આ આશરે દોઢ કિલોમીટર લાંબો રસ્તો છ મુખ્ય વસાહતો (કોલોનીઓ) ની વચ્ચેથી પસાર થાય છે. આ રસ્તો પહોળો થવાથી હરે ક્રિષ્ણા રોડ પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે અને નંદપુરીથી જગતપુરા સુધીનો સીધો રૂટ શરૂ થઈ જશે. આ રોડ વાઈડનિંગ પ્રોજેક્ટથી આસપાસની લગભગ 50 કોલોનીઓને માલવીય નગર, પ્રધાન માર્ગ અને એપેક્સ સર્કલ તરફ જવામાં ઉત્તમ કનેક્ટિવિટી મળશે.