Tue Aug 25 2026

Logo

જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ પછી ખુલ્યો રહસ્યમયી ખજાનો, જાણો શું છે અંદર?

2026-03-26 20:01:04
Author: Mumbai Samachar Team
જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ પછી ખુલ્યો રહસ્યમયી ખજાનો, જાણો શું છે અંદર?

પુરી: ઓડિશાના વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના રહસ્યમયી ખજાના એટલે કે 'રત્ન ભંડાર'ને લઈને ફરી એકવાર દેશભરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. લગભગ 48 વર્ષના લાંબા ગાળા બાદ આ ખજાનાની સત્તાવાર તપાસ અને ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બુધવારે બપોરે 12 વાગ્યા બાદ શુભ મુહૂર્તમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાથી એ સ્પષ્ટ થશે કે મહાપ્રભુના ભંડારમાં વાસ્તવમાં કેટલું સોનું, ચાંદી અને કિંમતી રત્નો રહેલા છે.

રત્ન ભંડારનો ઇતિહાસ મંદિરના નિર્માણ જેટલો જ જૂનો એટલે કે 12મી સદીનો માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ, રાજા ઇન્દ્રદ્યુમ્નનો આ શાહી ખજાનો હતો, જે તેમણે જગન્નાથ મહાપ્રભુને અર્પણ કરી દીધો હતો. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીએ આ ખજાનાને વરદાન આપ્યું હતું કે તે ક્યારેય ખાલી થશે નહીં. રત્ન ભંડારના બે ભાગ છે: આંતરિક અને બાહ્ય. વર્ષોથી ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા આભૂષણો અને રાજાઓ દ્વારા આપવામાં આવેલા દાનથી આ ભંડાર સમૃદ્ધ થયો છે.

રિપોર્ટ અનુસાર, આ ખજાનામાં ભગવાન જગન્નાથ અને બલભદ્ર માટે સોનાના મુકુટ, હાર અને કિંમતી રત્નો જડેલી પ્લેટો છે. બાહ્ય ભંડારમાં 120 તોલા વજનના સોનાના હાર છે, જ્યારે આંતરિક ખજાનામાં સોનાના 74 એવા આભૂષણો છે જેમાં દરેકનું વજન 100 તોલાથી વધુ હોવાનું મનાય છે. વર્ષ 1978માં જ્યારે આ ખજાનો ગણતરી માટે ખોલવામાં આવ્યો હતો, ત્યારે આશરે 128 કિલો સોનું અને 221 કિલો ચાંદીની વસ્તુઓ નોંધવામાં આવી હતી. 2018ના આંકડા મુજબ આ સંપત્તિ હજુ ઘણી વધારે હોવાની શક્યતા છે.

રત્ન ભંડાર સાથે ઘણી રહસ્યમયી માન્યતાઓ પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ ખજાનાની રક્ષા ભગવાન શિવના સ્વરૂપ બાબા લોકનાથ અને બે દિવ્ય નાગ 'પદ્મ' અને 'મહાપદ્મ' કરે છે. ખજાનો ખોલતા પહેલા પરંપરા મુજબ ભગવાન જગન્નાથ અને લોકનાથની મંજૂરી લેવામાં આવે છે. અગાઉ 2018માં આ ખજાનાની ચાવી ખોવાઈ જવાની ઘટનાએ ભારે રાજકીય અને સામાજિક વિવાદ જગાવ્યો હતો, પરંતુ હવે નવી તપાસ સાથે તમામ રહસ્યો પરથી પડદો ઉચકાશે.