Mon Jul 27 2026

Logo

‘જો કોઈ બદમાશી કરી છે તો...’ IPS અધિકારીએ TMC ઉમેદવારને કડક ચેતવણી આપી, રાજકીય માહોલ ગરમાયો

2026-04-28 12:51:00
Author: Savan Zalariya
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન આવતી કાલે 29 એપ્રિલના રોજ યોજાશે. એ પહેલા ચૂંટણી ફરજ પરના એક IPS અધિકારી વિવાદમાં ઘેરાયા છે. એક વિડીયોમાં IPS અધિકારી તૃણમુલ કોંગ્રેસ(TMC)ના ઉમેદવારના પરિવારને કડક ચેતવણી આપતા જોવા મળે છે અને ઉમેદવારને મળેલા સુરક્ષા કવચ પર સવાલો ઉભા કરે છે. 

અહેવાલ મુજબ વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલા IPS અધિકારી ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકે જાણીતા અજય પાલ શર્મા છે, તેમને હાલમાં રાજ્યમાં ચૂંટણી ફરજ માટે પોલીસ નિરીક્ષક તરીકે તૈનાત કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ ફલતા મતવિસ્તારમાંથી ફરિયાદો ઉઠી હતી કે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન કથિત રીતે મતદારોને ધમકાવી રહ્યા છે, આ ફરિયાદને પગલે અજય પાલ શર્મા આ વિસ્તારમાં પહોંચ્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક પોલીસે શરૂઆતમાં જહાંગીર ખાનનું રહેઠાણ અંગે માહિતી ન આપી, બાદમાં શર્મા અને તેમની ટીમે તેમનું ઘર શોધી કાઢ્યું. 

જો હવે ફરિયાદ મળશે તો...:
અજય પાલ શર્મા ટીમ સાથે પહોંચ્યા ત્યારે જહાંગીર ખાન તેમના ઘરે હાજર ન હતા. નિવાસસ્થાને હાજર જહાંગીર ખાનનાં સંબંધીઓએને અજય પાલ શર્માએ કડક ચેતવણી આપી. તેમણે કહ્યું, "તેને સમાજવી દેજો. જો લોકોને ધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદો મળશે, તો અમે યોગ્ય  પગલા ભરીશું. જો કોઈ ખોટું કામ કરશે અથવા મતદારોને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો અમે કડક કાર્યવાહી કરીશું." 

વધારાના પોલીસ જવાનો ક્યાંથી આવ્યા?
અજય પાલ શર્માએ નોંધ્યું કે જહાંગીર ખાનના નિવાસ સ્થાને પશ્ચિમ બંગાળ પોલીસના 14 કર્મચારીઓ તૈનાત હતાં, જ્યારે તેમણે સ્થાનિક પોલીસ અધિક્ષક પાસેથી વિગતો માંગી, ત્યારે તેમને જાણ કરવામાં આવી કે જહાંગીર ખાનને Y-કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે અને 10 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
શર્માએ વધારાના સુરક્ષા કર્મચારીઓ સામે સવાલ ઉઠાવ્યા અને નોટિસ પાઠવી.

ભાજપ અને TMCના આરોપ પ્રત્યારોપ:
અજય પાલ શર્માનો વિડીયો જાહેર થતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપ અજય પાલ શર્માની કાર્યવાહીને યોગ્ય અને જરૂરી ગણાવી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ અધિકારીના વર્તન અને તટસ્થતા અંગે સવાલ ઉઠવી રહી છે.
 
TMCએ જણાવ્યું કે અજય પાલ શર્માને 2020 માં રામપુરમાંથી હટાવમાં આવ્યા હતાં કેમ કે તેમના પર  કેશ-ફોર-પોસ્ટિંગ રેકેટમાં સામેલ હોવાનો આરોપ છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આરોપ લગાવ્યો કે ભાજપે પોલીસ નિરીક્ષકોના વેશમાં પશ્ચિમ બંગાળમાં "ટેસ્ટેડ એજન્ટો" મોકલ્યા છે.