Thu Apr 30 2026

Logo

કાવ્યા મારનને 'પાકિસ્તાન પ્રેમ' ભારે પડ્યો: સોશિયલ મીડિયા પર લેવાયો ઉધડો, થયું મોટું નુકસાન!

2026-03-14 14:14:32
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ આઈપીએલ ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારન ફરી એક વખત ચર્ચામાં છે. તાજેતરમાં ઈંગ્લેન્ડની જાણીતી ક્રિકેટ લીગ ધ હન્ડ્રેડ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. જેમાં કાવ્યા મારને પાકિસ્તાની લેગ સ્પિનર અબરાર અહમદને ટીમમાં સામેલ કરવા કરોડોની બોલી લગાવી હતી. પાકિસ્તાની ખેલાડીને ખરીદવાથી કાવ્યા મારનને મોટું નુકસાન પણ થયું છે. સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેમજ તેના વિવિધ પ્લેટફોર્મ પર ફોલોઅર્સની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે.

કાવ્યા મારનની મજબૂરી કે પછી....

કાવ્યા મારનનો આ નિર્ણય એટલા માટે પણ ઐતિહાસિક માનવામાં આવે છે. કારણ કે વર્ષ 2008-09 પછી ભારતીય માલિકી ધરાવતી ટીમોએ પાકિસ્તાની ખેલાડીઓથી લાંબુ અંતર જાળવી રાખ્યું હતું. રાજકીય તણાવ અને સુરક્ષાના કારણોસર IPL અથવા અન્ય વિદેશી લીગમાં ભારતીય ફ્રેન્ચાઈઝી પાકિસ્તાની ખેલાડીને સાઈન કરવાથી બચતી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક એક્સપર્ટ કાવ્યા મારનના આ પગલાને એક મોટા પરિવર્તનના સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યા બાદ કાવ્યા મારન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ હતી. 'ધ સ્કિન ડોક્ટર' નામના એક યુઝરે લખ્યું છે કે, ભારતીય માલિકી ધરાવતી ફ્રેન્ચાઇઝીએ પોતાની વિદેશી ક્રિકેટ લીગ માટે પાકિસ્તાની ખેલાડી અબરાર અહેમદને સાઈન કર્યો છે, જેણે ખુલ્લેઆમ ભારતની મજાક ઉડાવી છે. તેઓ ભારતમાં પાકિસ્તાનીઓને ફક્ત એટલા માટે નથી લેતા કારણ કે તેની પરવાનગી નથી, જે ક્ષણે આ પ્રતિબંધ હટશે, તેઓ એક પણ પળ ગુમાવ્યા વગર તેમને ટીમમાં લઈ લેશે.

ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે અબરાર અહેમદે ભારતીય સેનાનું અપમાન કર્યું હતું, આ તમામ બાબતો છતાં કાવ્યા મારન અને સનરાઈઝર્સે તેને 'ધ હન્ડ્રેડ લીગ' માં ખરીદ્યો છે.

આનંદ કૃષ્ણા નામના એક યુઝરે લખ્યું છે કે, કાવ્યા મારન દ્વારા અબરાર અહેમદને ખરીદવામાં આવે તેનાથી વધુ શરમજનક બીજું કંઈ હોઈ શકે નહીં.

BCCIએ પણ આપવું પડ્યું નિવેદન

કાવ્યા મારને પાકિસ્તાની ખેલાડીને ખરીદતાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ નિવેદન આપવું પડ્યું હતું. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, આ મામલો બોર્ડના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ વિદેશી લીગનો મામલો છે, તેમાં બીસીસીઆઈ કંઈ ન કરી શકે.

BCCI Sunrisers Hyderabad Coach Daniel Vettori 

હેડ કોચ ડેનિયલ વિટોરીએ જણાવ્યું અબરારને કેમ ખરીદ્યો

વિવાદોની વચ્ચે ટીમના હેડ કોચ ડેનિયલ વિટોરીએ આ નિર્ણય પર સ્પષ્ટતા આપી હતી. તેમણે જણાવ્યું કે ટીમની પ્રથમ પસંદગી ઇંગ્લેન્ડનો સ્ટાર સ્પિનર આદિલ રશીદ હતો, પરંતુ ઓક્શનમાં તેમને 'સાઉધર્ન બ્રેવ' ટીમે ખરીદી લીધો હતો. ત્યારબાદ, સનરાઇઝર્સ લીડ્સે વિદેશી સ્પિનરોના વિકલ્પો પર ધ્યાન આપ્યું અને અંતે અબરાર અહેમદને ટીમમાં સામેલ કર્યો હતો. વિટોરીએ વધુમાં ઉમેર્યું કે ટીમની વ્યૂહરચના શરૂઆતથી જ એક મુખ્ય સ્પિનર લેવાની હતી. તેમની પાસે ચાર-પાંચ વિકલ્પો હતા, જેમાં બાંગ્લાદેશના રિશાદ હુસૈન, પાકિસ્તાનના ઉસ્માન તારિક અને અબરાર અહેમદનો સમાવેશ થતો હતો.

સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ પણ સસ્પેન્ડ

અબરાર અહેમદની ખરીદી બાદ ભારતમાં સોશિયલ મીડિયા પર ભારે નારાજગી જોવા મળી હતી. આ વિવાદની વચ્ચે જ સનરાઇઝર્સ લીડ્સનું સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પણ સસ્પેન્ડ થઈ ગયું છે, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે. જોકે, એકાઉન્ટ સસ્પેન્ડ થવાનું અસલી કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

Indian Premier League, 2008

2008 પછી કેમ એક પણ પાકિસ્તાની ખેલાડી IPL નથી રમ્યા

2008માં 11 પાકિસ્તાની ખેલાડી આઈપીએલમાં રમ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સમાં- સલમાન બટ્ટ, શોએબ અખ્તર, મોહમ્મદ હફીઝ અને ઉમર ગુલ રમ્યા હતા. રાજસ્થાન રોયલ્સમાં 3 ખેલાડીઓ  કામરાન અકમલ, યુનુસ ખાન અને સોહેલ તનવીર રમ્યા હતા. જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સમાં 2 ખેલાડીઓ  મોહમ્મદ આસિફ અને શોએબ મલિક, ડેક્કન ચાર્જર્સ તરફથી શાહિદ આફ્રિદી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મિસ્બાહ-ઉલ-હક રમ્યા હતા.

તે સમયે પાકિસ્તાનના કુલ 11 ખેલાડીઓ આઈપીએલમાં રમ્યા હતા. ત્યારબાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અઝહર મહમૂદ આઈપીએલમાં રમ્યો હતો, જોકે તે સમયે તેણે બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી હતી. પરંતુ તે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા રાજકીય તણાવની અસર IPL પર પણ પડી. ત્યારબાદ પાકિસ્તાની ખેલાડીઓને આઈપીએલ ઓક્શનમાં સામેલ કરવામાં આવ્યા નથી. પરિણામે છેલ્લા દોઢ દાયકાથી કોઈ પણ પાકિસ્તાની આંતરરાષ્ટ્રીય ખેલાડી આઈપીએલમાં રમી શક્યો નથી.

SunRisers Hyderabad Owner Kavya Maran

કોણ છે કાવ્યા મારન?

કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી છે. તે માત્ર એક વારસદાર જ નથી, પરંતુ એક કુશળ બિઝનેસવુમેન પણ છે. સન ગ્રુપના વિશાળ મીડિયા સામ્રાજ્યની સાથે સાથે તે IPL ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનું સંપૂર્ણ મેનેજમેન્ટ પણ પોતે જ સંભાળે છે.