નવી દિલ્હી : ભારતમાં હજુ સુધી ઈબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં દેશમાં આ મુદ્દે સતર્કતા રાખવામાં આવી રહી છે. તેમજ કેન્દ્ર સરકારે આંતર રાષ્ટ્રીય મુસાફરી કરતાં પ્રવાસીઓ પર દેખરેખ રાખવા માટે " AIR SUVIDHA 2.0'નામનું એક નવું ડિજિટલ હેલ્થ ડિક્લેરેશન પોર્ટલ શરૂ કર્યું છે.
ડિજિટલ હેલ્થ ડિક્લેરેશન પોર્ટલ શરૂ
જેમાં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર દેખરેખ રાખવાનું કાર્ય વધુ મજબૂત બનાવ્યું છે. આ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડે સંયુક્ત રીતે 'AIR SUVIDHA 2.0' નામનું એક નવું ડિજિટલ હેલ્થ ડિક્લેરેશન પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ભારતમાં આવતા પ્રવાસીઓ સંબંધિત આરોગ્ય સંબંધિત માહિતી અગાઉથી એકત્રિત કરવામાં આવશે જેથી ચેપનું જોખમ ઓછું થઇ શકે.
મુસાફરોના હેલ્થ સર્વેલન્સને મજબૂત કરવામાં આવ્યું
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કૉંગો અને યુગાન્ડામાં ફેલાયેલા ઈબોલા વાયરસને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. તેની બાદ ભારતમાં પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના પગલે આંતરરાષ્ટ્રીય મુસાફરોના હેલ્થ સર્વેલન્સને મજબૂત કરવામાં આવ્યું છે. તેમજ નિષ્ણાતોના મતે આ વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે વિદેશથી આવતા પ્રવાસીઓ પર દેખરેખ રાખવી જરૂરી છે. જેના પગલે સમયસર તેને અટકાવી શકાય. આ સમયે 'AIR SUVIDHA 2.0' જેવા પોર્ટલ મહત્વના બની રહેશે.