લંડનઃ મહિલા ટી20 વર્લ્ડ કપમાંથી ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થતા ટીમના મુખ્ય કોચ અમોલ મઝૂમદારે સ્વીકાર્યું કે ટીમે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં ખરાબ પ્રદર્શન કર્યું છે અને ટી-20માં તેની વ્યૂહરચના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.
ભારતને સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે રવિવારે ઓસ્ટ્રેલિયા સામે જીતની જરૂર હતી, પરંતુ 170 રનનો બચાવ કરવામાં નિષ્ફળ ગયું અને સતત બીજી વખત લીગ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ ગયું હતું.
મઝૂમદારે મેચ પછી પત્રકારોને જણાવ્યું હતું કે આપણે આપણી વ્યૂહરચના અથવા આપણી ટી20ની રમત પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. આપણે ખરેખર નક્કી કરવાની જરૂર છે કે આપણે કયા કોમ્બિનેશન સાથે રમવા જઈ રહ્યા છીએ. ભારતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ સામે સરળ જીત નોંધાવી, પરંતુ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની હારથી તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું.
મઝૂમદારે કહ્યું હતું કે, "જો મારે આખી ટુર્નામેન્ટ દરમિયાન કેટલીક મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો મને લાગે છે કે આપણે બોલિંગ અને ફિલ્ડિંગ પર ખાસ ધ્યાન આપવાની જરૂર હતી. આપણે આપણી બેટિંગમાં પણ થોડા વધુ આક્રમક બનવાની જરૂર છે. જોકે, ભારતીય કોચે કહ્યું કે તેમની ટીમે પડકારજનક સ્કોર બનાવ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયાએ વધુ સારું પ્રદર્શન કર્યું.