નવી દિલ્હી : પાકિસ્તાનના કરાંચીમાં હાલમાં થયેલા હુમલામાં ભારત પર લગાવેલા આરોપ અંગે વિદેશ મંત્રાલયે ફગાવી દીધા છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ આ આરોપોને સંપૂર્ણરીતે પાયાવિહોણા જણાવીને પાકિસ્તાનને ફટકાર લગાવી છે.
આતંકવાદને હથિયાર તરીકે રાખવાની આદત છોડવી જોઇએ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, બીજા પર આરોપ લગાવવા કરતાં પાકિસ્તાને દેશની સ્થિતી પર નજર કરવી જોઇએ. તેણે પોતાની ભૂમિ પર રહેલા આતંકી માળખા વિરુદ્ધ નક્કર કામગીરી કરવી જોઇએ અને તેમજ આતંકવાદને એક હથિયાર તરીકે રાખવાની આદત છોડવી જોઇએ.
બ્લોક-6 માં રેન્જર્સ મુખ્યાલય પાસે વિસ્ફોટો થયા
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના કરાચીમાં શનિવારે એક આત્મઘાતી હુમલાના અહેવાલો સામે આવ્યા હતા. જેમાં ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક-6 માં રેન્જર્સ મુખ્યાલય પાસે વિસ્ફોટો બાદ લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા. આ ઘટના દરમિયાન પાંચ આતંકવાદીઓ પણ માર્યા ગયા.
ત્રણ આતંકી માર્યા ગયા હતા
જ્યારે સુરક્ષા દળો દ્વારા જવાબી કાર્યવાહીમાં તેમાંથી ત્રણ આતંકી માર્યા ગયા હતા. જ્યારે બે આત્મઘાતી વિસ્ફોટોમાં મૃત્યુ પામ્યા હતા. આતંકવાદી સંગઠન જમાત-ઉલ-અહરારે હુમલાની જવાબદારી સ્વીકારી છે.
હુમલાખોરે રેન્જર્સ કમ્પાઉન્ડને નિશાન બનાવ્યું
આ ઘટનામાં એક આત્મઘાતી હુમલાખોરે રેન્જર્સ કમ્પાઉન્ડને નિશાન બનાવ્યું અને વિસ્ફોટક વિસ્ફોટ કર્યો હતો. ત્યારબાદ તરત જ તેના સાથીઓએ સુરક્ષા દળો પર ઝડપી ગોળીબાર શરૂ કર્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગોળીબાર શરૂ થયો હતો. તેમજ પહેલો વિસ્ફોટ અત્યંત શક્તિશાળી હતો અને ત્યારબાદ બે નાના વિસ્ફોટ થયા હતા.