અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન, ભારત અને નેધરલેન્ડ્સે ગુજરાતના મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ પર ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે કરી હતી, જે પાણી વ્યવસ્થાપન અને માળખાગત વિકાસમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે.
કલ્પસર પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ખંભાતના અખાત દ્વારા સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાનો છે અને સાથે સાથે એક વિશાળ મીઠા પાણીનો જળાશય બનાવવાનો છે. દાયકાઓ પહેલા રચાયેલ આ પ્રોજેક્ટ હાલમાં અભ્યાસ હેઠળ છે. ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ઉત્તર નેધરલેન્ડ્સમાં વિકસિત ઐતિહાસિક ડાઇક અને દરિયાકાંઠાના એન્ક્લોઝર સિસ્ટમથી પ્રેરિત હતો.
વડ પ્રધાન મોદી અને ડચ વડા પ્રધાન વચ્ચેની મુલાકાતનો ઉલ્લેખ કરતા, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ કલ્પસર પ્રોજેક્ટ પર સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા હતા અને જણાવ્યું હતું કે ડચ કુશળતા અને તકનીકી સહાય પાણીના ક્ષેત્રમાં બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવી શકે છે.
એમઈએ અનુસાર, ગુજરાત પ્રોજેક્ટ સંબંધિત ટેકનિકલ સહયોગ માટે ભારતના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના માળખાગત સુવિધા અને જળ વ્યવસ્થાપન મંત્રાલય વચ્ચે એક લેટર ઓફ ઇન્ટેન્ટની આપ-લે થઈ હતી.
મુલાકાત દરમિયાન બીજો એક મહત્વપૂર્ણ કરાર ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ના વિકાસ માટે સહયોગ અંગેનો થયો હતો. આ મુલાકાતમાં બંને રાષ્ટ્રોએ આઇન્ડહોવન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ ટ્વેન્ટે અને છ અગ્રણી ભારતીય સંસ્થાઓ (આઈઆઈટી) વચ્ચે મેમોરેન્ડમ ઓફ કૉ-ઑપરેશનનું સ્વાગત કર્યું હતું.