Mon Sep 07 2026

Logo

ભારતે શરૂ કર્યું ફેબ- 4 મિશન, ચાર દિગ્ગજો વિદેશ પ્રવાસે

2026-08-28 18:48:47
Author: Chandrakant Kanoja
ભારતે શરૂ કર્યું ફેબ- 4 મિશન, ચાર દિગ્ગજો વિદેશ પ્રવાસે

નવી દિલ્હી: ભારતે વિશ્વમાં પોતાની છબીને મજબૂત બનાવવા માટે ફેબ- 4 મિશન શરૂ કર્યું છે. જેમાં ભારત સાથે મજબૂત ઘરોબો ઘરાવતા દેશો સાથે આર્થિક અને વ્યુહાત્મક રણનીતિના અમલ માટે ચાર દિગ્ગજ લોકોને વિદેશ પ્રવાસે મોકલ્યા છે. 

અજિત ડોભાલ, એસ. જયશંકર, પીયૂષ ગોયલ અને નિર્મલા સીતારમણની વિદેશ યાત્રાઓ મહત્વપૂર્ણ 

જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની બેઇજિંગ મુલાકાત, વિદેશ મંત્રી એસ. જયશંકરની મોસ્કો મુલાકાત, નાણામંત્રી નિર્મલા સીતારમણની કેનેડા અને અમેરિકાની યાત્રા તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલની જાપાનની યાત્રાનો સમાવેશ થાય છે. આ મુલાકાતો દરમિયાન સરહદ વ્યવસ્થાપન, ઉર્જા સુરક્ષા, રોકાણ, ટેકનોલોજી અને ઉત્પાદન જેવા મુદ્દાઓ એજન્ડામાં ઉચ્ચ સ્થાને રહ્યા છે. આ મુલાકાતોનો સમય પણ મહત્વપૂર્ણ છે. 

ભારત-ચીન સરહદ વિવાદ અંગે ઉકેલ માટે બંને દેશો સંમત 

આ દરમિયાન 24-25 ઓગસ્ટના રોજ અજિત ડોભાલની બેઇજિંગ મુલાકાત ભારત-ચીન સરહદ વિવાદ પર કેન્દ્રિત હતી. સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ વાટાઘાટોના 25મા રાઉન્ડમાં બંને પક્ષો સરહદ સીમાંકન અને વ્યવસ્થાપન પર કામ ચાલુ રાખવા અને સરહદ પરની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રાજદ્વારી અને લશ્કરી ચેનલોનો ઉપયોગ કરવા સંમત થયા હતા. ભારત અને ચીન પૂર્વીય અને મધ્ય સેક્ટરમાં મીટિંગ પોઈન્ટ અને મિલિટરી હોટલાઈન ઉમેરવા માટે પણ સંમત થયા હતા.

બેઇજિંગ રોકાણ પેકેજની જાહેરાતની શકયતા 

આ ઉપરાંત ભારત અને ચીન બિઝનેસ-ટુ-બિઝનેસ એક્સચેન્જ અને રોકાણ માટે એક નવા માળખા પર વિચાર કરી રહ્યા છે. જેમાં ચર્ચામાં ચીનના રોકાણના પ્રવાહને વેગ આપવા અને બિન-વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના રસ્તાઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, બ્રિક્સ સમિટમાં શી જિનપિંગ બેઇજિંગ રોકાણ પેકેજની પણ જાહેરાત કરી શકે છે.

જયશંકરની મોસ્કો મુલાકાતમાં ઉર્જા સુરક્ષા અને વેપાર બંને પર ભાર

જ્યારે 23-24 ઓગસ્ટના રોજ વિદેશ મંત્રી એસ. જયશંકરની મોસ્કો મુલાકાતમાં ઉર્જા સુરક્ષા અને વેપાર બંને પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 27મી બેઠકમાં બોલતા  જયશંકરે જણાવ્યું હતું કે માલસામાનમાં દ્વિપક્ષીય વેપાર પાંચ વર્ષમાં ચાર ગણો વધી ગયો છે.જોકે, રશિયા સાથે ભારતની વેપાર ખાધ પણ વધી છે.

વેપાર ખાધ દૂર કરવી ટોચની પ્રાથમિકતા

જયશંકરે જણાવ્યું હતું કે આ અસંતુલનને દૂર કરવું હાલમાં અમારી ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. ભારત અને રશિયાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન ડોલર સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જયશંકરે બજાર ઍક્સેસ સુધારવા અને વેપાર અવરોધો દૂર કરવા જેવા પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. 

જાપાન મુલાકાત વેપાર, રોકાણ અને ઉત્પાદન પર કેન્દ્રિત

જ્યારે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની 24 થી 27 ઓગસ્ટ સુધીની જાપાન મુલાકાત વેપાર, રોકાણ અને ઉત્પાદન પર કેન્દ્રિત હતી. તેમણે 200 સભ્યોના વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યુ. આ ચર્ચાઓમાં સેમિકન્ડક્ટર અને ઉત્પાદનનો સમાવેશ થતો હતો.જે બધા ભારતના 'મિશન 2047' માટે મહત્વપૂર્ણ છે.

ફાર્માસ્યુટિકલ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રોમાં જાપાની કંપનીઓ સાથે સંયુક્ત સાહસો

ગોયલે જણાવ્યું હતું કે ભારત ફાર્માસ્યુટિકલ અને શિપબિલ્ડિંગ ક્ષેત્રોમાં જાપાની કંપનીઓ સાથે સંયુક્ત સાહસો બનાવવા માંગે છે. ચર્ચાઓમાં સેમિકન્ડક્ટર, એલ્યુમિનિયમ, પેઇન્ટ અને કોટિંગ્સ તેમજ સ્પોર્ટસવેર અને ફૂટવેરમાં રોકાણની તકો પણ શોધવામાં આવી હતી.

સેમિકન્ડક્ટર અને ઓટો-કમ્પોનન્ટ ઉત્પાદન નિયમોમાં સુધારો કરશે

આ ઉપરાંત પિયુષ ગોયલે જાહેરાત કરી હતી કે સરકાર સેમિકન્ડક્ટર અને ઓટો-કમ્પોનન્ટ ઉત્પાદન માટે મંજૂરી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે નિયમોમાં સુધારો કરશે.

નિર્મલા સીતારમણની કેનેડા અને અમેરિકા મુલાકાત રોકાણ પર કેન્દ્રિત 

જ્યારે નાણાં મંત્રી નિર્મલા સીતારમણની કેનેડા મુલાકાત મુખ્યત્વે નાણાકીય ક્ષેત્રની અંદર રોકાણ અને સહયોગ પર કેન્દ્રિત છે. નાણામંત્રી 25 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી કેનેડા અને અમેરિકાના પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ વૈશ્વિક રોકાણકારો અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમજ નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની G20 બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

તેમણે સીતારમણે ભારતીય અને કેનેડિયન બેંકો, ફિનટેક કંપનીઓ અને નિયમનકારો વચ્ચે સહયોગની સમીક્ષા કરી હતી. તેમણે ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમ અને વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી સીધા રોકાણ (FDI) ને મંજૂરી આપવાની જોગવાઈ વિશે પણ વાત કરી.

ભારતમાં 12-13 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ સમિટ

આ ઉપરાંત ભારતમાં 12-13 સપ્ટેમ્બરના રોજ બ્રિક્સ સમિટ યોજાવાની છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાજર રહે તેવી પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભાગ લેશે તેવી શકયતા છે.