પટનાઃ બિહારના આરા જંક્શન રેલવે સ્ટેશન પર દિલ્હી જતી સિક્કિમ મહાનંદા એક્સપ્રેસના બે ડબ્બા રવિવારે વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર સવારે ૪ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં કોઇને ઈજા થઇ હોવાના અહેવાલ નથી. જો કે રેલ ટ્રાફિક પર થોડી અસર પડી હતી. પૂર્વ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી(સીઆરપીઓ) સરસ્વતી ચંદ્રના જણાવ્યા અનુસાર જ્યારે વહેલી સવારે ટ્રેન આરા જંક્શનથી રવાના થઇ ત્યારે આ ઘટના બની હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રેનની ગતિ ઓછી હોવાથી અને અમારી ફેલ-સેફ સિસ્ટમને કારણે મૃત્યુ કે ઈજાના કોઇ અહેવાલ નથી. પ્રારંભિક તપાસ સૂચવે છે કે ડ્રાઇવરની ભૂલને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી અને રેડ સિગ્નલ પાર કરી ગઇ હતી.
જો કે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ કરવામાં આવશે. સીપીઆરઓએ જણાવ્યું કે આ ઘટનાથી ડાઉન લાઇન પર કોઇ અસર થઇ નથી અને ટ્રેન સવારે લગભગ ૭-૨૩ કલાકે આરા જંક્શન સ્ટેશનથી રવાના થઇ ગઇ હતી.