નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસના નેતૃત્વમાં યોજાયેલી ઇન્ડી ગઠબંધનની બેઠકમાં તમામ પક્ષો વચ્ચે પાંચ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ NEET પેપર લીક સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
આ બેઠકમઆ 25 પક્ષોના નેતાઓ ચૂંટણી પારદર્શિતા, એજ્યુકેશન સિસ્ટમ, ફુગાવો, બેરોજગારી અને આર્થિક મુદ્દાઓ અંગે સંયુક્ત રણનીતિ બનાવવા સંમત થયા હતા. જેમાં NEET અને CBSE સંબંધિત વિવાદો પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું હતું. આ મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. તેમજ ઇન્ડી ગઠબંધને સમયાંતરે બેઠક યોજવાનો પણ નિર્ણય લીધો છે.
પાંચ મુદ્દા પર સર્વસંમતિ સધાઈ
આ બેઠકમાં ઇન્ડી ગઠબંધને SIR માં કથિત ગેરરીતિ મુદ્દે ચીફ જસ્ટિસને પત્ર લખવો, NEET અને સીબીએસસી જેવા મુદ્દે વિધાર્થીઓ પડતી મુશ્કેલી અંગે આંદોલન અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, દેશમાં વધતો ફુગાવો અને બેરોજગારી જેવા મુદ્દા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ, સંસદના ચોમાસું સત્ર દરમિયાન એકબીજા સાથે સંકલન રાખવું અને દર બે મહિને ઇન્ડી ગઠબંધનની બેઠક યોજવા અંગે સર્વસંમતિ સધાઈ છે.