Thu Jun 11 2026

Logo

અમેરિકાની ચેતવણી છતાં જીવને જોખમમાં કેમ નાખ્યો?  આદિત્ય શર્માના પરિજનોનો વેધક સવાલ

2026-06-11 18:25:37
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે 24 ભારતીય જહાજ પર અમેરિકાના હુમલામાં ત્રણ ભારતીયોના મોત નીપજ્યાં છે. જેમાં  હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના યુવાન નાવિક આદિત્ય શર્માનું મૃત્યુ થયું છે. ત્યારે તેના પરિવારજનોએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તેમજ પૂછ્યું  છે કે અમેરિકન નૌ સેના તરફથી ચેતવણી આપવામાં આવી હોવા છતાં તેમના જીવને જોખમમાં કેમ નાખવામાં આવ્યા. 

એમટી સેટેબેલોની આસપાસ તંગ પરિસ્થિતિ

આ અંગે નાવિક આદિત્ય શર્માના પિતાએ જણાવ્યું હતું  કે,  આદિત્ય સાથે તેમની છેલ્લા ફોન કોલમાં યુએસ સૈન્ય તરફથી મળેલી ચેતવણીઓ અને તેના પલાઉ-ધ્વજવાળા વેપારી ટેન્કર એમટી સેટેબેલોની આસપાસની તંગ પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

ચેતવણી છતાં જહાજ હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધ્યું 

આદિત્યના પિતા, રાજેશ શર્માએ  જણાવ્યું હતું કે, "અમે લગભગ દરરોજ વાત કરતા હતા. રવિવારે એક વોટ્સએપ કોલ દરમિયાન, તેમણે મને કહ્યું કે છેલ્લા બે અઠવાડિયામાં તેમને યુએસ નેવી તરફથી ઓછામાં ઓછી બે વાર ચેતવણીઓ મળી છે. તેમ છતાં જહાજ હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમે ચિંતિત હતા. તે જ દિવસે નજીકના અન્ય એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમણે અમને ખાતરી આપી હતી કે તે જહાજ પરના તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

આદિત્ય હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાસી

આદિત્ય હિમાચલ પ્રદેશના હમીરપુરનો રહેવાસી હતો અને ગયા વર્ષે નવેમ્બરથી વાણિજ્યિક જહાજ પર ડેક કેડેટ તરીકે કામ કરી રહ્યો હતો. તેના પિતાએ જણાવ્યું હતું કે તેનો પુત્ર ગુમ થયાની જાણ થયા પછી પરિવાર ચિંતાતુર હતો. પલાઉ-ધ્વજવાળા જહાજનું સંચાલન કરતી કંપની તરફથી સમાચાર મળ્યા બાદ ગુરુવારે સવારે તેમને તેના મૃત્યુની જાણ કરવામાં આવી હતી.

24 ભારતીય નાવિકોમાંથી 21 ને બચાવી લેવામાં આવ્યા

9 જૂનના રોજ ઓમાનના દરિયાકાંઠે એમટી સેટેબેલો પર અમેરિકન સૈન્યના હુમલામાં મૃત્યુ પામેલા ત્રણ ભારતીય ખલાસીઓમાં 23  વર્ષીય આદિત્ય શર્માનો પણ સમાવેશ થાય છે. હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ ચાલી રહેલા તણાવ વચ્ચે આ હુમલો થયો હતો. તેમાં સવાર 24  ભારતીય નાવિકોમાંથી 21 ને બચાવી લેવામાં આવ્યા હતા.