નવી દિલ્હી : ભારતીય વાયુસેનાનું ટ્રેનિંગ તેજસ ફાઇટર જેટ ક્રેશ થવાની અફવા વચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે સ્પષ્ટતા કરી છે. આ અંગે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે(HAL)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, હાલમાં મીડિયામાં તેજસ વિમાન ક્રેશ થવાના અહેવાલો આવ્યા છે. જોકે વાસ્તવમાં તેજસ વિમાન ક્રેશ નથી થયું. આ એક નાની ગ્રાઉન્ડ ટેકનિકલ ખામી હતી.
LCA તેજસનો ઉત્તમ સલામતી રેકોર્ડ
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે જણાવ્યું હતું કે, "વિશ્વના હાઇ-ટેક ફાઇટર જેટમાં LCA તેજસનો ઉત્તમ સલામતી રેકોર્ડ છે. આ ટેકનિકલ સમસ્યાની પ્રમાણભૂત પ્રક્રિયા મુજબ વધુ તપાસ કરવામાં આવી રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારતીય વાયુસેના શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.
તેજસ ફાઇટર જેટ ટ્રેનિંગ બાદ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થવાની અફવા
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાનું LCA તેજસ ફાઇટર જેટ ટ્રેનિંગ બાદ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું એવી અફવા ચાલી રહી હતી. આ દુર્ઘટના 7 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરહદ પરના ફોરવર્ડ એરબેઝ પર થઇ હતી. જેમાં પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે એ હવે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને આ ઘટનાને અફવા ગણાવીને ફગાવી દીધી છે.