ગાંધીનગરઃ ‘તમારા દસ્તાવેજો હવે હંમેશા તમારી સાથે’ આ વિચારને સાકાર કરતા રાજ્ય સરકારે રાજ્યની ૬૫ ટકા સેવાઓને ડિજિલોકર સાથે જોડીને ડિજિટલ ગવર્નન્સને વધુ સરળ, ઝડપી અને નાગરિક કેન્દ્રિત બનાવ્યું છે. જેના પરિણામે રાજ્યના 1.92 કરોડથી વધુ નાગરિકો સુધી ડિજિટલ સેવાઓ અત્યંત સરળતાથી પહોંચી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વિજ્ઞાન તથા પ્રોદ્યોગિકી પ્રધાન અર્જુન મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ ગુજરાતે આ ક્ષેત્રે અસાધારણ પ્રગતિ કરી છે.
આ રાજ્યોને મળ્યો છે પુરસ્કાર
તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત 'નેશનલ કન્સલ્ટેટિવ વર્કશોપ ઓન સ્ટ્રેન્ધનિંગ સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક ફોર સ્ટેટ ડેટા' દરમિયાન ડિજિલોકર ઇન્ટિગ્રેશનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત, કર્ણાટક, કેરલમ, નાગાલેન્ડ અને રાજસ્થાનના અધિકારીઓ સહિત સ્ટેટ ઇ-ગવર્નન્સ મિશન ટીમ-SeMTનું રાષ્ટ્રીય સ્તરે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બસ પરિવહન ક્ષેત્રે ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગની નવીનતા માટે પણ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કરાયું છે.
ડિજિલોકરના ફાયદા શું છે?
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી- DST અનુસાર, રાજ્યમાં હવે ડિજિટલ દિવ્યાંગતા પ્રમાણપત્રો પણ ડિજિલોકર પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેને બતાવીને દિવ્યાંગ નાગરિકો સરળતાથી નિ:શુલ્ક સરકારી પરિવહનનો લાભ મેળવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ડિજિટલ ઇન્ડિયા' અને 'વિશ્વસનીય ડિજિટલ ગવર્નન્સ'ના વિઝનને કેન્દ્રસ્થાને રાખીને દેશભરમાં નાગરિક સેવાઓને સીમલેસ બનાવવા માટે નેશનલ ઇ-ગવર્નન્સ ડિવિઝન -NeGD સતત કાર્યરત છે.
ડિજિલોકર એ ‘ડિજિટલ ઈન્ડિયા’ કાર્યક્રમ અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય-MeitYની એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય નાગરિકોના ડિજિટલ દસ્તાવેજ વોલેટમાં મૂળ દસ્તાવેજોની પહોંચ આપીને તેમનું ડિજિટલ સશક્તીકરણ કરવાનો છે. ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ડિજિલોકર સુરક્ષિત, અધિકૃત દસ્તાવેજોનું કોઇ પણ સ્થાન અને સમયે ઉપલબ્ધતાના પેપરલેસ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે. આઇ.ટી નિયમ-2016 અંતર્ગત ડિજિલોકરમાં રાખવામાં આવેલા દરેક દસ્તાવેજ તેના મૂળ દસ્તાવેજ સમાન કાયદાકીય ખરાઇ ધરાવે છે.
ગુજરાત સરકારના વિભિન્ન મહત્વના વિભાગો અને સંસ્થાઓએ સંબંધિત સેવાઓ ડિજિલોકર સાથે આવરી લીધી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના પોર્ટલ RCMS -રેશનકાર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પરથી રેશન કાર્ડની વિગતો નાગરિકો સીધી જ પોતાના ડિજિલોકર ખાતામાં મેળવી શકે છે. આ જ રીતે, ગુજરાત સરકારની તમામ ઈ-સેવાઓનો લાભ મેળવવા માટેનું એકમાત્ર પ્રવેશદ્વાર ગણાતા 'ડિજિટલ ગુજરાત પોર્ટલ’ દ્વારા 1 જાન્યુઆરી 2016 પછી ઇસ્યુ કરવામાં આવેલા મહત્વના દસ્તાવેજો જેવા કે જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર અને ડોમિસાઇલ પ્રમાણપત્ર, વગેરે પણ નાગરિકોના ડિજિલોકર ખાતામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત, રાજ્યની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ પણ ડિજિલોકર સુવિધાનો વ્યાપક લાભ આપી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર જેવી મહાનગરપાલિકાઓએ પણ નાગરિકોને અપાતી વિવિધ સેવાઓના દસ્તાવેજો માટે ડિજિલોકર સેવાઓ કાર્યરત કરી દીધી છે. સરકારી પ્રભાગોમાં જીઆઇડીસી -GIDC, ડિરેક્ટરેટ ઓફ પેન્શન એન્ડ પ્રોવિડન્ટ ફંડ, તેમજ સેટલમેન્ટ કમિશનર એન્ડ ડીરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડસ જેવી મહત્વની કચેરીઓ દ્વારા ડિજિલોકર સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જે રાજ્યમાં એક મજબૂત, સુરક્ષિત અને નાગરિક-કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સ સિસ્ટમ વિકસાવવા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.