(મુંબઈ સમાચાર ટીમ)
અમદાવાદ: ગુજરાતના વિવિધ શહેરોમાં શાળાએ જતા વિદ્યાર્થીઓમાં ટુ વ્હિલરનો ક્રેઝ વધ્યો છે. આર્થિક રીતે સધ્ધર પરિવારોના યુવકો મોપેડ કે સ્કૂટર લઈને સ્કૂલએ આવી રહ્યા છે. આ સ્થિતીમાં તેમની સુરક્ષા મહત્વની બની રહે છે. જો કે સતત વધતો જતો વાહન વ્યવહાર અને સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા થતા ગંભીર અકસ્માતો તેમજ મોતના દુઃખદ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની તમામ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને એક અપીલ કરવામાં આવી છે.
પ્રતિબંધ મૂકવાની શાળા સંચાલકોની ફરજ
RTOના નિયમો અનુસાર સગીર વયના અને ડ્રાઇવિંગ લાઇસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓ શાળામાં ટુ-વ્હીલર લઈને આવે તેના પર પ્રતિબંધ મૂકવાની શાળા સંચાલકોની ફરજ બને છે.
અનુરોધ મહામંડળે કર્યો
આ સુરક્ષા પગલાના ભાગરૂપે મહામંડળના પ્રમુખએ સૂચન કર્યું હતું કે, જો કોઈ વિદ્યાર્થી વાહન લઈને શાળાએ આવે તો તેની પાસેથી વાલીની લેખિત અરજી અને ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મેળવીને શાળાના દફતરે (રેકોર્ડ પર) રાખવી જોઈએ. આવા નિયમબદ્ધ વિદ્યાર્થીઓને શાળા શરૂ થવાના અને છૂટવાના સમયની નોંધ સાથે જ મંજુરી આપવામાં આવે તેવો અનુરોધ મહામંડળે કર્યો હતો.