Thu Jun 18 2026

Logo

મોરબીના રાજવી પેલેસમાં આગ, ભરૂચની બેંકમાં રજાના દિવસે લાગી આગ

2026-04-05 21:04:14
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ મોરબીના ઐતિહાસિક નવા મહેલ (ન્યુ પેલેસ)માં આગ ફાટી નીકળી હતી. મહેલના પરિસરમાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે રાજવી પરિવાર દ્વારા સાચવવામાં આવેલી અનેક ઐતિહાસિક કલાકૃતિઓ બળી ગઈ હોવાનું અહેવાલો જણાવે છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 

દરમિયાન મહેલની અંદર કામ કરતી એક ફસાઈ ગઈ હતી. મોરબી ફાયર વિભાગની ટીમે તેને સફળતાપૂર્વક બચાવી લીધી હતી. મોરબી પાલિકાના વરિષ્ઠ અધિકારીએ સ્થળની મુલાકાત લઈ આગ બુઝાવવાના કામનું નિરિક્ષણ કર્યું હતું. આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા પછી અને સ્થળને સુરક્ષિત કર્યા પછી આગ લાગવાના કારણ અને નાશ પામેલી મિલકતના ઔપચારિક મૂલ્યાંકન અંગે સત્તાવાર નિવેદનો બહાર પાડવામાં આવશે તેવી અપેક્ષા છે. આ અંગે તંત્ર સાથે સીધો સંપર્ક થઈ શક્યો નથી. 

ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં આવેલી યુકો બેંકની શાખામાં રવિવારે રજાના દિવસે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. રજાના દિવસે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો.આ કૉમ્પ્લેક્સમાં બીજી ઘણી દુકાનો આવી છે, બેંક ઉપરના માળે છે.  આગ લાગતા બેંક પરિસરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડની ટીમો આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી રહી હતી.

ઇમરજન્સી રિસ્પોન્ડર્સ સ્થળ પર હતા, આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બેંક બંધ હોવાથી જાનહાનિના કોઈ અહેવાલો નથી. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની વિશેષ તપાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.