નવી દિલ્હી : દિલ્હીના અનેક વિસ્તારોમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના ગુમ થયા હોવાનો પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જેના પગલે આ સમગ્ર બાબત રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બની છે. આ ઉપરાંત ભાજપ વારંવાર રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અંગે ટીકા કરે છે. તેમજ આ મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી " પર્યટનના નેતા " છે.
આ અંગે ભાજપના નેતા રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું, જેમાં તેમણે રાહુલ ગાંધીનો "ગુમ થયેલા/MIA રાહુલ બાબા" અને "પર્યટનના નેતા" તરીકે ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ એક પણ રજા વિના 9000 દિવસ સેવા આપી
શહેઝાદ પૂનાવાલાએ પીએમ મોદીના કાર્ય રેકોર્ડની સરખામણી રાહુલ ગાંધીના કથિત વિદેશ પ્રવાસો સાથે કરી. તેમણે કહ્યું, વડાપ્રધાન મોદી હંમેશા કામમાં વ્યસ્ત રહે છે. તેમણે 9,000 દિવસ મુખ્યમંત્રી અને વડાપ્રધાન બંને તરીકે એક પણ દિવસની રજા લીધા વિના વિતાવ્યા છે. તેનાથી વિપરીત રાહુલ ગાંધી હંમેશા રજાના મૂડમાં રહે છે. તેઓ દર વર્ષે કરોડો રૂપિયા વેકેશન પર ખર્ચ કરે છે. રાહુલ 'પર્યટનના નેતા' છે.
રાજકીય અને સંસદીય કાર્યક્રમો દરમિયાન ગેરહાજર
આ પૂર્વે શુક્રવારે એક વીડિયોમાં ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી ઘણીવાર મહત્વપૂર્ણ રાજકીય અને સંસદીય કાર્યક્રમો દરમિયાન ગેરહાજર રહે છે. રાહુલ ગાંધી સતત રજાઓ માણવા બહાર રહે છે. જ્યારે પણ પક્ષ અને દેશને તેમની જરૂર હોય છે ત્યારે તેઓ વિદેશ પ્રવાસો પર જાય છે. તેઓ લોકો, સંસદ કે પક્ષને પ્રાથમિકતા આપતા નથી. તેઓ પર્યટનને પ્રાથમિકતા આપે છે.