Wed Jun 10 2026

Logo

દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ સહિત આપના ચાર નેતાઓને અવમાનનાની નોટિસ ફટકારી

2026-05-19 16:58:00
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલ સહિત આપના ચાર નેતાઓની મુશ્કેલી વધી છે. કોર્ટની અવમાનના કેસમાં દિલ્હી હાઇકોર્ટે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહને  નોટિસ ફટકારી છે.  તેમજ કોર્ટે ચાર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

આ મામલે ન્યાય મિત્રની નિમણૂક કરી

હાઇકોર્ટના ન્યાયાધીશ નવીન ચાવલા અને ન્યાયાધીશ રવિન્દ્ર ડુડેજાની બેન્ચે તમામ આરોપીઓને  જવાબો આપવા   ચાર સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે આ મામલે ન્યાય મિત્રની નિમણૂક કરી છે અને તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સાચવવાનો આદેશ આપ્યો છે. 

આપ નેતાઓએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો

આ કેસની વિગત મુજબ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા દ્વારા શરૂ કરાયેલા આ કેસમાં એવો આરોપ છે કે 20 એપ્રિલના રોજ  આબકારી નીતિ કેસના સંદર્ભમાં દાખલ કરાયેલી રિક્યુસલ અરજી જસ્ટિસ શર્માની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. જેની બાદ આપ નેતાઓએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વીડિયો અને પત્રો દ્વારા તેમના વિરુદ્ધ અપમાનજનક અને બદનક્ષીભરી ટિપ્પણીઓ કરી હતી.

આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે

આ કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે. આપ નેતાઓ પર ન્યાયાધીશની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતી વખતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. જે કોર્ટની ગરિમાની વિરુદ્ધ છે. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે.