Sat May 30 2026

Logo

હવે CUET UG 2026માં પણ ગરબડ, કલાકો બાદ શરુ થઇ પરીક્ષા, NTAએ બદલ્યું બપોરની શિફ્ટનું ટાઇમિંગ

2026-05-30 15:49:20
Author: mumbai samachar team
Article Image

PTI


નવી દિલ્હીઃ CUET UG 2026 ની પરીક્ષા 30 મે 2026 ના રોજ કેટલાક પરીક્ષા કેન્દ્રો પર સમયસર શરૂ થઈ શકી નહોતી. ટેકનિકલ ખામીના કારણે પરીક્ષામાં વિલંબ થયો હતો, જે બાદ એનટીએ (NTA) એ તાત્કાલિક અપડેટ જાહેર કરીને નવું શિડ્યુલ (સમયપત્રક) લાગુ કર્યું હતું.

CUET UG 2026 ની પરીક્ષાને લઈને 30 મે 2026 ના રોજ દેશના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી હતી. ક્યાંક ટેકનિકલ ખામીના કારણે પરીક્ષા મોડી શરૂ થઈ, તો ક્યાંક ગેરવ્યવસ્થા અને અફવાઓએ માહોલને વધુ તણાવપૂર્ણ બનાવી દીધો. આ દરમિયાન પરીક્ષા રદ થઈ હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી અને ગુસ્સો જોવા મળ્યો હતો.

ટેકનિકલ સમસ્યાથી થઇ મુશ્કેલી

દેશભરના અનેક કેન્દ્રો પર CUET UG 2026 ની પરીક્ષા યોજાઈ રહી હતી, પરંતુ કેટલીક જગ્યાઓએ ટેકનિકલ ખામીના કારણે પરીક્ષા સમયસર શરૂ થઈ શકી નહોતી. પરીક્ષા આયોજિત કરતી એજન્સી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS iON) તરફથી જણાવવામાં આવ્યું કે, સિસ્ટમમાં આવેલી ટેકનિકલ સમસ્યાના કારણે વિલંબ થયો હતો, જેને પાછળથી સુધારી લેવામાં આવ્યો હતો.

અફવાઓને કારણે માહોલ બગડ્યો

આ દરમિયાન કેટલીક જગ્યાઓએ એવી અફવા ફેલાઈ ગઈ કે CUET UG 2026 ની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ સમાચાર બાદ અનેક પરીક્ષા કેન્દ્રોની બહાર ભીડ એકઠી થઈ ગઈ અને માહોલ તણાવપૂર્ણ બની ગયો. વિદ્યાર્થીઓ અને વાલીઓએ મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવીને જવાબ માંગ્યા હતા.

એનટીએ (NTA) નું નિવેદન અને પરિસ્થિતિ પર નિયંત્રણ

પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્પષ્ટ કર્યું છે કે જે વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી શરૂ થઈ છે, તેમને પૂરો સમય આપવામાં આવશે જેથી કરીને કોઈ પણ ઉમેદવાર સાથે અન્યાય ન થાય. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે પરીક્ષા રદ થવાની અફવાઓ ખોટી છે અને પરીક્ષા પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ છે.

પરીક્ષાના સમયમાં ફેરફાર

કેટલાક કેન્દ્રો પર થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને પરીક્ષાના શિડ્યુલ (સમયપત્રક) માં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. બપોરની શિફ્ટ માટે એન્ટ્રી (પ્રવેશ) બપોરે 2:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી અને પરીક્ષા 3 વાગ્યાના બદલે હવે ૪ વાગ્યે શરૂ કરાવવામાં આવશે.

રાહુલ ગાંધીના પ્રહાર

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે NEET, CBSE, SSC અને આજે CUET. ચાર એક્ઝામ (પરીક્ષાઓ), એક કરોડ બાળકો, એક પણ ઈમાનદારીથી ન થઈ.

રાહુલ ગાંધીએ એક્સ (X) પર લખ્યું, 'દાવા વિશ્વગુરુના, પરંતુ દેશમાં એક પરીક્ષા કરાવી શકતા નથી- મોદીજીએ આખી શિક્ષણ વ્યવસ્થા બરબાદ કરી દીધી છે.' તેમણે આગળ લખ્યું, 'જે પેઢીનું ભવિષ્ય તમે બગાડી રહ્યા છો - એ જ પેઢી તમારો હિસાબ કરશે.'