Wed Aug 19 2026

Logo

કોકરોચ જનતા પાર્ટી સપ્ટેમ્બર માસથી શરૂ કરશે 'ક્યા બોલતી પબ્લિક' અભિયાન

2026-08-06 17:58:39
Author: Chandrakant Kanoja
Article Image

 

નવી દિલ્હી: દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મુદ્દે સફળ આંદોલન કર્યા બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ સપ્ટેમ્બર માસથી બીજા આંદોલનની જાહેરાત કરી છે. આ અંગે આજે સીજેપીની કોર કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે પાર્ટી સપ્ટેમ્બર માસથી 'ક્યા બોલતી પબ્લિક' નામનું એક અભિયાન શરૂ કરશે.

દેશભરના લોકો સાથે સંવાદ કરવામાં આવશે

આ અભિયાન અંતર્ગત દેશભરના લોકો સાથે સંવાદ કરવામાં આવશે. તેમની સમસ્યાઓ સમજવામાં આવશે. અભિજીત દીપકે જણાવ્યું હતું કે આ અભિયાન દેશની વર્તમાન પરિસ્થિતિ અને લોકો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે અંગે  શું વિચારે છે તે જાણવાનો છે. 

આંદોલનની સૌથી મોટી સિદ્ધિ લોકોના મનમાંથી ભય દૂર થયો 

જ્યારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના મુદ્દા પર બોલતા અભિજીત દીપકેએ કહ્યું, આ જીત ઐતિહાસિક હતી કારણ કે 12 વર્ષથી એવું માનવામાં આવતું હતું કે આ સરકારમાં રાજીનામા નથી થતાં. ત્યારે આ દેશના યુવાનોની તાકતના લીધે મંત્રીએ  રાજીનામું આપવાની ફરજ પડી. અમે ફક્ત રાજીનામું લીધું નથી  અમે સરકારને નમવા માટે મજબૂર કરી છે. અમે માનીએ છીએ કે આ આંદોલનની સૌથી મોટી સિદ્ધિ લોકોના મનમાંથી ભય દૂર થયો તે છે. 

અમારી વિચારધારા ભારતના બંધારણને અનુરૂપ 

મીડિયાને સંબોધતા અભિજીત દીપકેએ  જણાવ્યું હતું કે લોકોના મનમાંથી ભય દૂર થઈ ગયો છે. હવે  લોકો રસ્તા પર ઉતરશે. આજે  તેમણે એક વ્યક્તિનું રાજીનામું માંગ્યું છે. કાલે તેઓ બીજાના રાજીનામા માંગશે. કોકરોચ જનતા પાર્ટી' બાબાસાહેબ આંબેડકર, મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુના વિઝન અનુસાર વિકસિત ભારત માટે કામ કરશે. અમારી વિચારધારા ભારતના બંધારણને અનુરૂપ છે.