ચંદીગઢ: આજે સવારે પંજાબના મુખ્ય બે શહેરો અમૃતસર અને જલંધરમાં વિસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે, આ વિસ્ફોટની તપાસ કરવામાં આવી રહી છે. એવામાં આ ઘટનાને રાજકીય રંગ પકડ્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આ બોમ્બ વિસ્ફોટોને માટે ભાજપને જવાબદાર ઠેરવી છે.
વિસ્ફોટ અંગે મીડિયા સાથે વાત કરતા ભગવંત માને કટાક્ષમાં કહ્યું કે ભાજપ આ રીતે પંજાબમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ભાજપ પંજાબમાં ભયનું વાતાવરણ ઉભું કરવા અને લોકોને ડરાવીને મત મેળવવા ઈચ્છે છે.
ભાજપ પર પ્રહારો કરતા ભગવંત માને કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. હવે પંજાબનો વારો છે. આ નાના વિસ્ફોટો પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ભાજપની તૈયારીઓનો એક ભાગ છે.
ભગવંત માને આરોપ લગાવ્યો કે ભાજપ હંમેશા હિંસા ભડકાવીને અને જનતાને ડરાવીને લોકોના મત મેળવવાનો પ્રયાસ કરે છે. હાલ વિસ્ફોટોની તપાસ કરવામાં આવી રહી છે.
ભગવંત માને કહ્યું , “પંજાબ એક શાંતિપ્રિય રાજ્ય છે. અમે વિશ્વનું કલ્યાણ ઇચ્છતા લોકો છીએ. જ્યાં ચૂંટણી હોય એ રાજ્યમાં એવા રાજ્યોમાં અશાંતિ ભડકાવવાની ભાજપને આદત છે.”
નવા લાગુ કરાયેલા ધર્મનિંદા વિરોધી કાયદા અંગે ભગવંત માનએ કહ્યું કે આ પગલા સમુદાયો વચ્ચે સંઘર્ષ ઉશ્કેરવાના ભાજપના પ્રયાસો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કાયદો ભાજપના એજન્ડાની વિરુદ્ધ છે.