અયોધ્યા: અયોધ્યામાં રામમંદિર દાન ચોરી કેસના એસઆઇટી તપાસ બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ અત્યાર સુધી 70 લાખ રોકડા રૂપિયા મળી આવ્યા છે. તેમજ તપાસ ટીમ હજુ પણ નોટોની ગણતરી કરી રહી છે. આ કુલ રોકડ રકમ વધુ વધી શકે છે. પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે જેમને સોમવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
ટિનુ યાદવ પાસે ગેરકાયદે વિના દાન પેટીઓની ચાવીઓ હતી
આ સમગ્ર કેસમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, કેસના આરોપી ટિનુ યાદવ પાસે ગેરકાયદે વિના દાન પેટીઓની ચાવીઓ હતી. એસઆઇટીએ રિપોર્ટમાં જણાવ્યું કે ટ્રસ્ટને ઘણા સમય પહેલા ચોરીની શંકા હતી. સપ્ટેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025માં ટ્રસ્ટ અને બેંક વચ્ચેની બેઠકો દરમિયાન એક એસઓપી સ્થાપિત કરવામાં આવી હતી. તેમજ સંબંધિત દસ્તાવેજો પર સ્ટેટ બેંક વતી ગોવિંદ મિશ્રા અને ટ્રસ્ટ વતી અનિલ મિશ્રા દ્વારા સહી કરવામાં આવી હતી. જો કે ત્યારબાદની ગણતરી પ્રક્રિયા દરમિયાન એસઓપીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
આઠ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા
એસઆઇટીના અહેવાલ મુજબ આ બેદરકારી ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી. રામ મંદિર દાન ચોરી કેસના સંદર્ભમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આઠ વ્યક્તિઓ સામે FIR દાખલ કરી હતી. એસઆઇટી એ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.
એસઆઇટી દ્વારા સરકારને પ્રારંભિક અહેવાલ સુપત્ર કરવામાં આવ્યો
આ ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા એસઆઇટી દ્વારા સરકારને પ્રારંભિક અહેવાલ સુપત્ર કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહન દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે શ્રી રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં રામશંકર યાદવ (ઉર્ફે ટીનુ યાદવ), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, લવકુશ મિશ્રા, રામાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને મનીષ કુમાર યાદવ, તેમજ કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.