Sun May 24 2026

Logo

અમરનાથમાં 6થી 7 ફૂટનું સંપૂર્ણ શિવલીંગ તૈયાર, જવાનોએ કર્યા દર્શન 3 જુલાઈથી યાત્રા શરૂ

2026-05-23 17:31:21
Author: Mumbai Samachar Team
Article Image

બાલતાલઃ તારીખ 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. અમરનાથ યાત્રા માટે દેશભરમાંથી લોકો જમ્મુ કાશ્મીર આવે છે. લાખોની સંખ્યામાં ભાવિકો આવતા અત્યારે તૈયારીઓને ફાયનલ ટચ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે શિવલીંગ લગભગ 6થી 7 ફૂટની ઊંચાઈ સુધી સંપૂર્ણ આકારમાં તૈયાર થઈ ચૂક્યું છે. આ નવા તૈયાર થયેલા શિવલીંગની તસીવર સામે આવી છે. અમરનાથ શિવલીંગના દર્શના માટે દરવર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો રઆવે છે. શનિવારે સવારે બરફથી તૈયાર થયેલી સંપૂર્ણ શિવલીંગના ભારતીય સૈન્યના જવાનોએ દર્શન કર્યા હતા. 

શિવભક્તોમાં ભારે ઉત્સાહ
આ વખતે આ દિવ્ય શિવલીંગ 6થી 7 ફૂટનું તૈયાર થયું છે. યાત્રા શરૂ થતા પહેલા જ સૈન્યના જવાનોની એક ટુકડીએ ત્યાં દર્શન કર્યા હતા. હવે આ દર્શન ભાવિકો માટે ખોલી દેવામાં આવશે. ગ્રૂપમાં ભાવિકો આ દર્શન માટે આગળ વધશે. આ તસવીર સામે આવતા જ શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર યાત્રા 3 જુલાઈના રોજ સવારે શરૂ થશે, જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે અમરનાથ યાત્રા બે મહિના સુધી ચાલશે.15 એપ્રિલથી આ અમરનાથ યાત્રા માટેના રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા છે. ભાવિકો હવે આ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને માધ્યમથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. દેશની 554 બેંક શાખામાંથી આ પ્રક્રિયા સરળતાથી કરી શકાય છે. 

3 લાખથી વધારે લોકોનાં રજીસ્ટ્રેશન
આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 3.6 લાખથી વધારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. યાત્રાના મુખ્યમાર્ગ પર હજુ 10થી 12 ફૂટ સુધી બરફ જામી ગયા છે. બાલતાલ-સોનમર્ગ અને પહલગાંવ-નુનવાનના રસ્તેથી યાત્રા શરૂ થશે. આ બન્ને રૂટ પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે યાત્રા પહેલા મેડિકલ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર તરફથી પણ હાલ આ રૂટ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષાને લઈને પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. યાત્રા શરૂ થતા પહેલા સમગ્ર રૂટનું નિરિક્ષણ કરવામાં આવશે. રૂટ નિરિક્ષણ જવાનો તથા પોલીસ સાથે થયા બાદ જ યાત્રા માટે રસ્તો ખોલવામાં આવશે.