Tue Aug 25 2026

Logo

અમદાવાદની સ્કૂલો રવિવારે સ્વૈચ્છિક રીતે ચાલુ રાખી શકાશે

2026-08-05 20:31:48
Author: Pooja Shah
અમદાવાદની સ્કૂલો રવિવારે સ્વૈચ્છિક રીતે ચાલુ રાખી શકાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તેને કારણે શૈક્ષણિક કામકાજોને અસર થઈ હતી. આથી જો અભ્યાસક્રમ બાકી રહ્યો હોય તો ચાલુ મહિનામાં રવિવારે પણ સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય કરી શકાશે, તેવી જાહેરાત જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર દ્વારા કરી હતી. 

મળતી માહિતી પ્રમાણે તેમના પરિપત્ર અનુસાર અમદાવાદ શહેરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો જરૂર જણાય તો સ્વૈચ્છિક ધોરણે રવિવારે પણ સ્કૂલો ચાલુ રાખી શકશે. જોકે આ સ્કૂલોનો સ્વૈચ્છિક નિર્ણય છે અને તે વાલીઓ અને વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરી લઈ શકાશે. આ સાથે શિક્ષકોની ઉપલબ્ધતા અને વાતાવરણ પણ ધ્યાનમાં લેવાના રહેશે. 

મહત્વનું છે કે ગત 31 જુલાઇ અને 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.