સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. જેમાં બે લોકોના શબ મળ્યા છે. આ દુર્ઘટનામાં ચાર લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.
વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં આગ લાગી
આ અંગે મળતી માહિતી મુજબ વિસ્ફોટ એટલો શકિતશાળી હતો કે તેનો અવાજ બે કિલોમીટર સુધી સંભળાયો હતો. જેના લીધે ગ્રામજનોમાં ભય ફેલાયો હતો.
તેમજ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સાંજે અચાનક એક જોરદાર ધડાકો થયો હતો. ત્યારબાદ ફેક્ટરીમાં આગ જોવા મળી હતી.
બે મૃતકો મધ્યપ્રદેશના ઈંદોરના રહેવાસી
આ વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં કુલ 24 લોકો કામ કરી રહ્યા હતા. જેમાં ચાર કામદારોના મૃત્યુના અહેવાલો બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. તેમજ સ્થળ પરથી બે મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. મૃતકોની ઓળખ દીપરાજ અને સંદીપ તરીકે થઈ છે. જે મધ્યપ્રદેશના ઈંદોરના રહેવાસી છે.
ફેક્ટરી માલિકની પણ પૂછપરછ
હાલ આ વિસ્ફોટનું કારણ જાણવા નથી મળ્યું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ ફેક્ટરી માલિકની પણ પૂછપરછ કરી રહી છે. જે ગાઝિયાબાદનો રહેવાસી હોવાનું જાણવા મળે છે.