Sat Sep 05 2026

Logo

નેપાળમાં પૂરથી મૃત્યુઆંક વધીને 579 પહોંચ્યો, હજુ પણ મંડરાઈ રહ્યો છે વધુ એક ખતરો

Kathmandu   2026-08-28 22:49:36
Author: Chandrakant Kanoja
નેપાળમાં પૂરથી મૃત્યુઆંક વધીને 579 પહોંચ્યો, હજુ પણ મંડરાઈ રહ્યો છે વધુ એક ખતરો

AP, AFP


કાઠમંડુ: મધ્ય નેપાળમાં અચાનક પૂરથી મૃત્યુઆંક શુક્રવારે 579 પર પહોંચી ગયો છે બચાવ અને રાહત કામગીરી યથાવત છે કારણ કે ભોટેકોશી નદી વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો થયા બાદ નવા પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીઆરઆરએમએ) એ જણાવ્યું હતું કે આ અઠવાડિયાની શરૂઆતમાં આવેલા અચાનક વિનાશક પૂરના સ્થળે પાણીના સ્તરમાં વધારો થવાથી વિસ્તારમાં બીજા પૂરનું જોખમ વધ્યું છે. એનડીઆરઆરએમએ કહ્યું કે "બુધવારે અચાનક પૂર આવ્યું હતું તે જ જગ્યાએ કાદવ સાથે ફરીથી પાણીના સ્તરમાં વધારો થયો છે અને આ વિસ્તારમાં પૂરનો ખતરો વધ્યો છે.

હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન

આ ચેતવણી  રસુવા અને મધ્ય નેપાળના અન્ય ભાગોમાં બુધવારે આવેલા અચાનક પૂર બાદ જાહેર કરવામાં આવી છે. આ પૂરમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને ઘરો, રસ્તાઓ, પુલો અને હાઇડ્રોપાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું. એનડીઆરઆરએમએ એ શોધ અને બચાવ કામગીરીમાં સામેલ લોકોને તેમજ વિવિધ કારણોસર ભોટેકોશી અને ત્રિશુલી વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ જ સતર્ક રહેવા અને જો તેઓને કોઈ જોખમનો સામનો કરવો પડે તો તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ જવા વિનંતી કરી છે.

આઠ જિલ્લાઓમાંથી 547 મૃતદેહો મળી આવ્યા 

નેપાળ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે હિમાલયના આઠ જિલ્લાઓમાંથી 547 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવલપરાસી પૂર્વમાંથી 134, ચિતવનમાંથી 221, ગોરખામાંથી 44 અને નુવાકોટમાંથી 38 મૃતદેહો મળી આવ્યા છે. ધાડિંગમાંથી 40, તનુમાંથી 29, નવલપરાસી પશ્ચિમમાંથી 28 અને રસુવામાંથી 13 મૃતદેહો મળી આવ્યા છે. 

977 લોકો ગુમ થયા 

નેપાળના રસુવા અને નજીકના જિલ્લાઓમાં અચાનક આવેલા પૂર બાદ બુધવારે સવારથી 86 સુરક્ષા કર્મચારીઓ, 517 વિદેશી પ્રવાસીઓ અને 127 નેપાળી પ્રવાસીઓ સહિત ઓછામાં ઓછા 977 લોકો ગુમ થયા છે.

1,545 ઘાયલ અને ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા
 
અત્યાર સુધીમાં વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,545 ઘાયલ અને ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી 84 લોકો હાલમાં કાઠમંડુની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. શુક્રવાર બપોર સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 85 ભારતીયો, 9 દક્ષિણ કોરિયન અને 16 ચીની નાગરિકો સહિત 121 વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.