કરાચીઃ ભારત સામે બે મુખ્ય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ટુર્નામેન્ટની ફાઇનલ જીતનાર એકમાત્ર પાકિસ્તાની કેપ્ટન, વિકેટકીપર-બેટ્સમેન સરફરાઝ અહેમદે રવિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.
સરફરાઝે ડિસેમ્બર ૨૦13માં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી.
બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે સરફરાઝની નિવૃત્તિની ઔપચારિક જાહેરાત પછી પીસીબી હવે તેમને લાંબા ગાળાના ધોરણે રાષ્ટ્રીય ટેસ્ટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરી શકે છે. ઓલરાઉન્ડર અઝહર મહમૂદનો કરાર સમાપ્ત થયા પછી પાકિસ્તાનની ટેસ્ટ ટીમના મુખ્ય કોચનું પદ ખાલી છે. મહમૂદે ગયા વર્ષે ટેસ્ટ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી.
મે મહિનામાં 39 વર્ષના સરફરાઝને તાજેતરમાં પાકિસ્તાન અંડર-19 અને શાહીન ટીમોના મેન્ટર અને મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સરફરાઝે ગયા વર્ષે ઓક્ટોબરમાં પોતાની છેલ્લી પ્રથમ શ્રેણીની મેચ રમી હતી. તેણે કહ્યું કે તે તેની અન્ય ભૂમિકાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
તેણે કહ્યું હતું કે, "મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરીશ અને 2006માં આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ અને 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતીશ. મારા માટે આ અવિસ્મરણીય ક્ષણો રહી છે." નોંધનીય છે કે પાકિસ્તાન તરફથી સરફરાઝે 54 ટેસ્ટ, 117 વન-ડે અને 61 ટી-20 મેચ રમી છે.