પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી કરશે કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ જૂને પીએમ-કિસાન યોજના હેઠળ ૨૩મો હપ્તો ટ્રાન્સફર કરશે, જેનાથી દેશભરના ૯.૪૪ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીને ૧૮,૮૮૦ કરોડ રૂપિયા સીધા વિતરણ કરવામાં આવશે. આ ટ્રાન્સફર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન થશે. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ફક્ત પશ્ચિમ બંગાળમાં જ ૪૫.૩૫ લાખથી વધુ ખેડૂતને કુલ ૯૦૭ કરોડ રૂપિયાના હપ્તા મળશે.
આ સાથે, રાજ્યમાં યોજના હેઠળ સંચિત વિતરણ ₹ ૧૫,૦૫૫ કરોડને વટાવી જશે, જ્યારે ૨૦૧૯માં યોજના શરૂ થયા પછી રાષ્ટ્રીય સ્તરે કુલ ₹ ૪.૪૬ લાખ કરોડને વટાવી જશે, એમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. ચૌહાણે જણાવ્યું હતું કે ભંડોળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા મોકલવામાં આવશે, જે "નાના અને સીમાંત ખેડૂતોની આવક સુરક્ષાને મજબૂત બનાવશે."
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનર્ગઠિત હવામાન-આધારિત પાક વીમા યોજના પણ શરૂ કરશે, જેનો સંયુક્ત ખર્ચ આશરે ₹ ૧૨,૨૦૦ કરોડ થશે. સરકારનો હેતુ ૨૦૨૬-૨૭ દરમિયાન ૩૦ લાખ હેક્ટરમાં લગભગ ૧.૧૦ કરોડ ખેડૂતને પાક વીમા કવરેજ આપવાનો છે, જેમાં આશરે ₹ ૨૮,૧૪૦ કરોડના પાકનો સમાવેશ થાય છે.
ડિજિટલ કૃષિ મિશન હેઠળ, વડા પ્રધાન રાજ્યમાં એક કૃષિ-ટેક પ્લેટફોર્મ લોન્ચ કરશે, જે ખાતર વિતરણ, કિસાન ક્રેડિટ કાર્ડ્સ, ડીબીટી સેવાઓ અને એમએસપી-આધારિત સરકારી ખરીદી માટે એક સંકલિત ઇન્ટરફેસ પ્રદાન કરશે.
મોદી રાષ્ટ્રીય કુદરતી ખેતી મિશન શરૂ કરશે, જે હેઠળ ૨૦૨૬-૨૭ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ૧૭,૩૦૦ હેક્ટરમાં ફેલાયેલા ૩૪૬ કુદરતી ખેતી ક્લસ્ટર સ્થાપિત કરવામાં આવશે. આ પહેલથી બાયો-આધારિત ઇનપુટ્સ, તાલીમ અને બજાર જોડાણો દ્વારા ૪૩,૨૫૦ ખેડૂતને લાભ થવાની અપેક્ષા છે, જે બાયો-સંસાધન કેન્દ્રો અને 'કૃષિ સખીઓ' દ્વારા સમર્થિત છે.
તેઓ પુરુલિયા, દાર્જિલિંગ, અલીપુરદુઆર અને ઝારગ્રામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના પણ શરૂ કરશે - જે સુધારેલી કૃષિ ઉત્પાદકતા, પાક વૈવિધ્યકરણ અને સંગ્રહ અને પ્રક્રિયા સુવિધાઓ સહિત લણણી પછીના માળખાને લક્ષ્ય બનાવે છે.
મોદી PMGSY-III હેઠળ ૨૧૩ કરોડ રૂપિયાથી વધુના ૪૯ રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જે ૩૧૫ કિલોમીટરથી વધુને આવરી લેશે. આ રસ્તાઓનો હેતુ ગ્રામીણ જોડાણ સુધારવા, ખેડૂતોને બજારો સુધી પહોંચવામાં મદદ કરવા અને દૂરના વિસ્તારોના રહેવાસીઓ માટે શિક્ષણ અને આરોગ્યસંભાળની સુલભતા સરળ બનાવવાનો છે.