Wed Jun 10 2026

Logo

વિરાર દાદર લોકલ ભાયંદર સ્ટેશને ઊભી ન રહેતા અંધાધૂંધીઃ રેલવેએ આપ્યા તપાસના આદેશ

2026-04-09 17:40:13
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ સબર્બન લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન માનવામાં આવે છે, જે સતત દોડે છે અને દરરોજ લાખો મુસાફરોનું વહન કરે છે. જો કે, લોકલ ટ્રેનો ક્યારેય તેમનો સમય, સ્ટોપ કે રૂટ ચૂકતી નથી. જોકે, બુધવારે 15 કોચની લોકલ ટ્રેન તેનો સ્ટોપ ચૂકી ગઈ જેના કારણે ભાયંદર સ્ટેશન પર અંધાધૂંધી સર્જાઈ ગઇ હતી.

વિરારથી દાદર જતી 15 કોચની ફાસ્ટ લોકલ ટ્રેન સવારે 10:44 વાગ્યે ઉપડી હતી. આ લોકલ ટ્રેનના નિર્ધારિત સ્ટોપ વસઈ રોડ, ભાયંદર, દહીસર, અંધેરી અને દાદર હતા. વસઈ રોડ સ્ટેશન પર રોકાયા પછી ટ્રેન રાબેતા મુજબ આગળ વધી હતી, પરંતુ ત્યાર બાદ ખૂબ જ ઝડપે આગળ વધી અને ભાયંદર સ્ટેશનનું સ્ટોપ ચૂકી ગઈ હતી. લોકલ ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે પ્લેટફોર્મથી લગભગ બે કિલોમીટર દૂર જઈ ચૂકી હતી. આનાથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં મૂંઝવણ ઊભી થઈ હતી.

બીજી તરફ, ફાસ્ટ લોકલ ટ્રેન ન થોભવાથી ભાયંદર સ્ટેશન પર ઉભેલા મુસાફરો પણ મૂંઝવણમાં મુકાયા હતા. જાહેરાત છતાં ટ્રેન ન થોભવાથી નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. કામ પર જવાની ઉતાવળ અને ગરમીને કારણે લોકો અકળાઈ ગયા હતા. પ્લેટફોર્મ પર થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. રેલવે સ્ટાફે તાત્કાલિક દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

મુસાફરોને થતી અસુવિધાને ધ્યાનમાં રાખીને, એસી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની કામચલાઉ પરવાનગી આપવામાં આવી હતી. ત્યારબાદ, પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી અને લોકલ સેવાઓ પૂર્વવત થઈ હતી. 

દરમિયાન, પશ્ચિમ રેલવે દ્વારા આ ગંભીર ભૂલ કેવી રીતે થઈ તેની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સવારના પીકઅવર્સના સમયે બનેલી આ ઘટનાને કારણે ઘણા મુસાફરોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.