Mon Aug 31 2026

Logo

થાણેમાં 2500 લોકોની બેઠક ક્ષમતા ધરાવતું મહારાષ્ટ્રનું સૌથી મોટું ઓડિટોરિયમ બનશે: સરનાઈક

2026-04-03 18:14:55
Author: Vipul Vaidya
થાણેમાં 2500 લોકોની બેઠક ક્ષમતા ધરાવતું મહારાષ્ટ્રનું સૌથી મોટું ઓડિટોરિયમ બનશે: સરનાઈક

થાણે: મહારાષ્ટ્રનું સૌથી મોટું ઓડિટોરિયમ થાણેના ઘોડબંદર વાઘબીળ વિસ્તારમાં બનશે, એમ રાજ્યના પરિવહન પ્રધાન અને જિલ્લાના શિવસેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે શુક્રવારે જણાવ્યું હતું.રાજ્ય સરકારે 138 કરોડ રૂપિયા મંજૂર કર્યા બાદ ‘તીર્થરૂપ નિરૂપંકર અપ્પાસાહેબ ધર્માધિકારી નાટ્યગૃહ’ નામનું આ ઓડિટોરિયમ ત્રણ વર્ષમાં બનશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ ઓડિટોરિયમમાં 2,500 દર્શકોની વિશાળ બેઠક ક્ષમતા હશે. આમાં મુખ્ય હોલમાં 1,600 બેઠકો અને બે બાલ્કનીઓમાં દરેકમાં 450 બેઠકોની ક્ષમતાનો સમાવેશ થાય છે. 12 બેઠકોનો એક સમર્પિત બ્લોક ખાસ કરીને અપંગ વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવશે. તેમાં અલગ લિફ્ટ અને દિવ્યાંગો માટે ખાસ શૌચાલયની વ્યવસ્થા પણ હશે, એમ તેમણે જણાવ્યું હતું.

7,300 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં શહેરના પ્રતિષ્ઠિત ‘ગડકરી રંગાયતન’ કરતા 12 મીટર ઊંચો સ્ટેજ હશે, જે ભવ્ય નાટ્ય નિર્માણ અને જટિલ સેટ ડિઝાઇનને માટે સાનુકૂળ હશે, એમ તેમણે જણાવ્યું હતું.સરનાઈકે ઉમેર્યું હતું કે, 2000 ચોરસ મીટરનો વિશાળ પ્લાઝા બનાવવા માટે લગભગ 60 ટકા પરિસર ખુલ્લો રાખવામાં આવશે જેમાં 2000 નાગરિકોને લાઇવ ઇવેન્ટ્સ, શેરી નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સમાવી શકાય.

‘650 ફોર-વ્હીલર અને 300 ટુ-વ્હીલર માટે જગ્યા ધરાવતો ત્રણ માળનો પાર્કિંગ લોટ હશે. ઓડિટોરિયમની આવક વધારવા માટે, 1,000 લોકોની ક્ષમતા ધરાવતા બે મોટા બેન્ક્વેટ હોલ બનાવવામાં આવશે. વાસ્તવિક કાર્ય શરૂ થાય તે પહેલાં થિયેટર નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારો સાથે તેમના વ્યાવસાયિક સૂચનો મેળવવા માટે ટૂંક સમયમાં એક બેઠક બોલાવવામાં આવશે,’  એમ તેમણે કહ્યું હતું.