Fri Apr 17 2026

Logo

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણા નિષ્ફળ, ઇરાને કહ્યું અમને અમેરિકા પર વિશ્વાસ નહિ

Tehran   2026-04-12 17:42:00
Author: Chandrakant Kanoja
Article Image

તહેરાન : મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાનમાં બે દેશોના પ્રતિનિધીઓ વચ્ચે 21 કલાક સુધી શાંતિ મંત્રણા યોજાઇ હતી. જોકે તે અંતે નિષ્ફળ નિવડી હતી. ત્યારે ઇરાને આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ આ અંગે ઝિમ્બાબ્વેમાં ઈરાની દૂતાવાસે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ પહોંચતા પહેલા અમે કહ્યું હતું કે અમને અમેરિકા પર વિશ્વાસ નથી.

ઈરાન અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી

ઈરાન અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. ઈરાને તેના પરમાણુ કાર્યક્રમમાંથી પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે. ત્યારે  અમેરિકાએ આગ્રહ કર્યો કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે છોડી દે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનો સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરે. 

અમેરિકાએ ઈરાનની શરતોને ગેરકાયદે ગણાવી

જોકે, ઈરાને કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત ત્યારે જ ખોલી શકાય છે જો તેને તેનો પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે, અમેરિકા તેની જપ્ત કરેલી સંપત્તિઓ છોડે અને ઈઝરાયલે લેબનોન પરના હુમલા બંધ કરી દે. જોકે, અમેરિકાએ આ શરતોને ગેરકાયદે ગણાવી અને વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી. 

અમેરિકાએ પહેલા પણ ત્રણ વખત કરાર તોડ્યો છે 

જોકે, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે શાંતિ મંત્રણા શરૂ થાય તે પૂર્વે  જ  ઈરાને કહ્યું હતું કે તે યુદ્ધવિરામ વાટાઘાટોમાં ભારે અવિશ્વાસ સાથે પ્રવેશ કરી રહ્યું છે.  કારણ કે અમેરિકા પર વિશ્વાસ નથી ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે અમેરિકાએ પહેલા પણ ઘણી વખત વિશ્વાસ તોડ્યો છે. તે ક્યારેય કોઈ કરારનું પાલન કરતું નથી.