ચેન્નઈ: ચેન્નઈથી સિંગાપોર જઈ રહેલા ૨૦૦થી વધુ ઇન્ડિગો મુસાફરોને મંગળવારે ફ્લાઇટમાં તેમના વાસ્તવિક મુસાફરી સમય કરતાં વધુ લગભગ પાંચ કલાક રાહ જોવડાવવામાં આવી હતી અને હતાશ મુસાફરો એરલાઇન સ્ટાફ પર ભડક્યા હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો.
ઇન્ડિગોનો સત્તાવાર જવાબ એ હતો કે પાઇલટે જોયું કે કેબિનનું તાપમાન સામાન્ય કરતાં વધુ હતું અને તેણે એન્જિનિયરિંગ ટીમને જાણ કરી હતી, અને સમસ્યાનું નિરાકરણ થાય તે પહેલાં કોકપીટ ક્રૂના ડ્યુટી કલાકો ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (એફડીટીએલ) કરતાં વધી ગયા હતા. અમારે વૈકલ્પિક ક્રૂની વ્યવસ્થા કરવી પડી હતી, જેમાં સમય લાગ્યો હતો.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલ એક મિનિટના વીડિયોમાં મુસાફરો દાવો કરતા સાંભળવામાં આવ્યા હતા કે એર કન્ડીશનીંગ ચાલુ અને બંધ થવાથી તેમને ગૂંગળામણ થઈ હતી, અને ફ્લાઇટમાં વધુ પડતો વિલંબ કેમ થયો તેનું યોગ્ય કારણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ તેમને સીઆઈએસએફ કર્મચારીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
સિંગાપોર જતી ફ્લાઇટ (ફ્લાઇટ નંબર: 6E1025) સવારે ૭.૩૦ વાગ્યે ઉપડવાની હતી, અને મુસાફરોને સવારે ૬.૩૦ વાગ્યે ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ફ્લાઇટ સમયપત્રક મુજબ ઉડાન ભરી ન હતી.
કોઈ સ્પષ્ટ સૂચના નહોતી અને કોઈ પારદર્શક વાતચીત નહોતી. કેબિન એર કન્ડીશનીંગ વારંવાર ચાલુ અને બંધ થતું હતું. શિશુઓ, બાળકો, વૃદ્ધ મુસાફરો અને કામ કરતા વ્યાવસાયિકો વિમાનમાં હતા, જે મુસાફરોએ અસ્વસ્થતાને કારણે ઉતરવાની વિનંતી કરી હતી તેમને લાંબા સમય સુધી ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી," તેવું એક મુસાફરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.
પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટમાં સવાર પાઇલટ કામના કલાકોના પ્રતિબંધોને ટાંકીને વિલંબ વચ્ચે જ નીકળી ગયો હતો અને ફ્લાઇટ બપોરે ૧૨ વાગ્યે ઉડાન ભરે તે પહેલાં એક વૈકલ્પિક પાઇલટ સવારે ૧૧ વાગ્યે ફરજ પર હાજર થયો હતો. જોકે, ઇન્ડિગોના સૂત્રોએ જણાવ્યું હતું કે મુસાફરોને સમયાંતરે પરિસ્થિતિ વિશે અપડેટ આપવામાં આવતું હતું અને તેમને નાસ્તો આપવામાં આવતો હતો.