Tue Jul 14 2026

Logo

ફારસની ખાડીના હુમલાઓમાં ભારતીય ખલાસીઓની સૌથી વધુ જાનહાનિ

2026-07-14 20:14:57
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શરૂ થયેલા યુદ્ધ વચ્ચે ભારતના વિદેશ મંત્રાલયે મહત્વની અપડેટ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ફારસની ખાડીમાં થયેલા હુમલાઓમાં સૌથી વધુ જાનહાનિ ભારતીય ખલાસીઓની થઈ છે. 

હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વેપાર ચાલુ રાખવાની અપીલ

આ ઉપરાંત વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે હાલમાં પશ્ચિમ એશિયામાં બનતી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સતત જહાજોની સલામત અવર જવર માટે  હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વેપાર ચાલુ રાખવાની અપીલ કરી છે.

બે જહાજો પરના હુમલામાં 30 ભારતીય ખલાસીઓ હતા

મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા ભારતીય જહાજો અને ખલાસીઓના મુદ્દા પર વાત કરતા કહ્યું કે તમે પૂછેલા પ્રશ્ન અંગે મારી પાસે હાલમાં સંપૂર્ણ વિગતો નથી. જોકે, હું કહી શકું છું કે બે જહાજો પર ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં કુલ 30 ભારતીય ખલાસીઓ  હતા.

એક ભારતીય ખલાસીનું મોત

જેમાં એક જહાજમાં 12 લોકો સવાર હતા અને એક ભારતીય ખલાસીનું મોત નીપજ્યું. જ્યારે બીજા જહાજમાં 18 ભારતીય ખલાસીઓ સવાર હતા. જેમાંથી નવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે.