Tue Jul 14 2026

Logo

ગરીબ રથ એક્સપ્રેસમાં મેડિકલ ઈમરજન્સી છતાં ટ્રેન ન રોકાઈ, મહિલા પ્રવાસીનું મોત

2026-07-14 17:32:43
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: ટ્રેનની મુસાફરી દરમિયાન ઇમરજન્સી સેવાઓ સમયસર નહીં મળતા એક મહિલા પ્રવાસીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12216)માં બની હતી. ગરીબ રથ એક્સપ્રેસમાં આ બનાવ બન્યા રેલવેની કામગીરી અંગે અનેક ગંભીર સવાલો કરવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસાર બારમી જાન્યુઆરીના ટ્રેનના ઓનબોર્ડ બનાવ બન્યો હતો. ટ્રેનની મુસાફરી દરમિયાન અચાનક જ મહિલા પ્રવાસીની તબિયત લથડી હતી, જેમાં ઘટના બનતા જ સાથે બેઠેલા અન્ય પ્રવાસી અને તેના દીકરાએ મહિલાની તાત્કાલિક સારવાર માટે ટ્રેન રોકવાની ભલામણ કરી હતી, પરંતુ ટ્રેન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. વાયરલ વીડિયોમાં પીડિત પરિવારના સભ્યોએ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનરને નજીકના સ્ટેશને ટ્રેન રોકવાની અપીલ કરી હતી.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આ ઘટનાને પગલે રેલવે ઇમરજન્સી સેવાઓ પર તપાસ કરવાની માંગ કરી હતી. લાંબા સમય સુધી રેલવે વિભાગ દ્વારા પણ આ દુર્ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. જોકે, સોશિયલ મીડિયા પર પશ્ચિમ રેલવેએ ટ્વિટ કરીને લખ્યું હતું કે ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રવાસીને આરોગ્ય સબંધિત થયેલી તકલીફ બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.' 

મળતી માહિતી અનુસાર બપોરના 4.22 વાગ્યે ટ્રેનના સ્ટાફ તરફથી વડોદરા ખાતે તબીબી સહાય માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યાર બાદ તાત્કાલિક હાજર રેલવે સ્ટાફ દ્વારા નજીકના સ્ટેશન અધિકારીઓને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ 4.32 વાગ્યે 108 એમ્બયુલન્સને આ બાબતે જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક સબંધિત અધિકારીઓ દ્વારા સંકલન સાધવામાં આવ્યું હતું. 

એના પછી ટ્રેનને હોલ્ટ માટે ઈટોલા સ્ટેશન ખાતે સ્ટોપની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં અગાઉથી 108 એમ્બ્યુલન્સ પહેલાથી જ તૈનાત કરવામાં આવી હતી. ટ્રેન ઈટોલા સ્ટેશન પહોંચ્યા પછી પ્રવાસીને તાત્કાલિક સારવાર માટે એબ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા.

પશ્ચિમ રેલવેએ વધુમાં જણાવ્યું હતું કે વિગતવાર તપાસ માટે સમગ્ર ઘટના વિશે સબંધિત વિભાગને જાણ કરવામાં આવી છે તપાસના આધારે યોગ્ય કાર્યવાહી નિયમો અનુસાર હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે તેના પ્રવાસીઓની સલામતી, સુરક્ષા અને સુખાકારી માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.

આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી એક યૂઝરે કહ્યું હતું કે ચાલતી ટ્રેનમાં પ્રવાસીની તબિયત બગડ્યા પછી મૃત્યુ થયું હતું. ભરુચ પછી પ્રવાસીની તબિયત બગડ્યા પછી ટ્રેન રોકવાની અપીલ કરી હતી, પરંતુ એને રોકવામાં આવી નહોતી અને જો એ વખતે રોકવામાં આવી હોત તો જીવ બચાવી શકાયો હોત, પણ કમનસીબ બાબત એ છે કે ટ્રેન રોકી જ નહીં. વાસ્તવમાં રેલવેની બેદરકારી છે. આ કેસમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, એમ તેણે જણાવ્યું હતું.