નવી દિલ્હીઃ આપણા દેશમાં થતા અકસ્માતનો વાર્ષિક આંકડો સામે આવે ત્યારે ભલભલા માણસની આંખ ચાર થઈ જાય છે. સતત વધી રહેલા અકસ્માત પાછળ કારણ તો જુદા-જુદા હોઈ શકે છે પણ રસ્તે ચાલતા જતા લોકો માટે હવે આવા અકસ્માત ચિંતાનો વિષય બની રહ્યો છે. બેફામ દોડતા વાહનો માત્ર જે તે વાહનોને જ અડફેટે નથી લેતા, રસ્તાની સાઈડમાં ચાલતા કે ફૂટપાથ પર ચાલતા લોકોને પણ ઢસળી રહ્યા છે.
આ કારણે એમના અકાળે મોત થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં રસ્તે ચાલનારાઓને અકસ્માત નડ્યો હોય એવા કેસમાં કુલ 1 લાખી વધારે લોકોના અકાળે મોત નીપજ્યા છે. આ અંગેની નોંધ દેશની સુપ્રીમ કોર્ટે લીધી છે અને રસ્તે ચાલવાના અધિકારને પ્રાથમિકતા આપી છે. અધિકારને બંધારણીય ગણાવ્યો છે.
ચોંકાવનારા આંકડા
ભારતના રસ્તાઓ પર ચાલવું હવે સૌથી વધુ જોખમી બની ગયું છે.અહીંયા રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવાની વાત નથી, રસ્તાના કિનારે તથા ફૂટપાથ પર ચાલતી વખતે જ્યારે કોઈ બેફામ ગતિથી વાહન આવી ચડે ત્યારે જાણે સાક્ષાત યમરજા કોઈ રૂપે આવ્યા હોય એવો અહેસા થાય છે. સરકારી આંકડા મુજબ, વર્ષ 2019 થી 2024 વચ્ચે રોડ અકસ્માતોમાં 1.8 લાખથી વધુ પદયાત્રીઓએ જીવ ગુમાવ્યા છે.
દેશમાં દર વર્ષે સરેરાશ 30,500 થી વધુ લોકો રસ્તા પર ચાલતા અકસ્માતનો શિકાર થઈ જાય છે. આ માત્ર પાંચ વર્ષનો આંકડો છે. એક સર્વેમાંથી આ વિગત સામે આવી છે. દેશમાં માણસના થતા કુલ મોતમાં 31 ટકા મોત અકસ્માતને કારણે થાય છે. એ પણ નેશનલ હાઈવે જ્યારે અકસ્માત થાય છે ત્યારે એની ગંભીરતા ઔર વધી જાય છે. આ ટકાવારી એ જ ધોરીમાર્ગની ગણવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે નોંધ લીધી
સુપ્રીમ કોર્ટે નાગરિકોના ચાલવાના મૂળભૂત અધિકારને યોગ્ય ઠેરવ્યો. આને બંધારણીય પણ ગણાવી દીધો છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના 2024ના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, પગપાળા ચાલતા લોકોના 54% મોત કાર અને ટુ-વ્હીલરની ટક્કરને કારણે થાય છે. આ માત્ર મોતનો આંકડો છે ઈજાગ્રસ્તની સંખ્યાને ઉમેરી દેવામાં આવે તો આંકડો લાખમાં થાય અને એ પણ ખૂબ મોટો થઈ જાય.
રોડ સેફ્ટી એક્સપર્ટ્સના મતે, રોડ ક્રોસ કરવા માટેની સારી વ્યવસ્થા ન હોવાને કારણે અને ભારતમાં યોગ્ય ફૂટપાથની જગ્યા મર્યાદિત હોવાને કારણે સૌથી વધારે અકસ્માતનો ભય રહે છે. દેશની સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બંધારણની કલમ 21 (Article 21) હેઠળ ફૂટપાથનો ઉપયોગ કરવો એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.
સુપ્રીમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે રોડ બનાવતી વખતે ચાલવા માટે અલગથી ફૂટપાથ બનાવવા માટે કાયદો બનાવવામાં આવે. હવે સૌથી વધારે ગંભીર મુદ્દો આ છે ત્યારે રાજ્યની સરકાર આ પરથી કોઈ એજન્ડા નક્કી કરે અને યોગ્ય અમલવારી કરાવે તો અવશ્ય અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય અને મોતનો આંકડો ઓછો થઈ જાય. વર્ષ 2024ના અહેવાલ પ્રમાણે, રસ્તા પર કે ફૂટપાથ પર ચાલતા લોકોના મોતની બાબતમાં તમિલનાડુ સૌથી આગળ છે, જ્યાં 4,712 લોકોનાં મોત થયા છે. બીજા ક્રમે બિહાર (4,149 મોત), પછી મહારાષ્ટ્ર (3,344 મોત) અને ચોથા ક્રમે પશ્ચિમ બંગાળ (3,241 મોત)નો ક્રમ આવે છે.
શહેરો કરતાં હાઈવે પર વધુ જોખમ

શહેરો કરતાં હાઈવે પર વધુ જોખમ હોવાનું આ સર્વેમાંથી જાણવા મળે છે. મોટાભાગના અકસ્માતો શહેરોની બહાર, હાઈવે અથવા ગ્રામ્ય વિસ્તારોના રોડ પર થાય છે. જેની જુદા જુદા રાજ્યોમાંથી ટકાવારી 53 મોટા શહેરોમાંથી માત્ર 11.8% છે. જ્યારે હાઈવે પર આ ટકાવારી 30 ટકાને પણ પાર થઈ જાય છે. સરકારને હવે હાઈવે પર ચાલનારા લોકો માટે ખાસ ચેતવણી બોર્ડ લગાવવાની પણ સલાહ આપવામાં આવી છે.