નવી દિલ્હી: ભારત અને નેપાળ વચ્ચે સરહદ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે બંને દેશો વચ્ચે હવે મની ટ્રાન્સફર સરળ બન્યું છે. આ અંગે નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે 6 જૂનના રોજ ભારત અને નેપાળ વચ્ચે યુપીઆઇ આધારિત મની ટ્રાન્સફર સિસ્ટમ શરૂ કરી છે. જેની માટે ક્રોસ બોર્ડર રેમિટન્સ સુવિધા શરૂ કરી છે. બંને દેશોએ સરહદી વિસ્તારોના રહેવાસીઓ, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે ચુકવણી અને નાણાં ટ્રાન્સફરને સરળ બનાવવાના હેતુથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે.
ભારતના યુપીઆઇ અને નેપાળના એનપીઆઇ વચ્ચે સીધી લિંક
ભારત અને નેપાળના લોકો મોબાઇલ એપ્લિકેશન્સ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરી શકશે. આ નવી શરૂ કરાયેલ સિસ્ટમ ભારતના યુપીઆઇ અને નેપાળના એનપીઆઇ વચ્ચે સીધી લિંક સ્થાપિત કરે છે. આ બંને દેશોના નાગરિકોને મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન્સ અને ડિજિટલ વોલેટ્સનો ઉપયોગ કરીને તાત્કાલિક અને સીધા પૈસા ટ્રાન્સફર કરી શકશે.
બંને દેશો સામાજિક-આર્થિક સબંધોને મજબૂત બનાવશે
નવી ચુકવણી સિસ્ટમ ભારત અને નેપાળ વચ્ચે લાંબા સમયથી ચાલતા સામાજિક-આર્થિક સંબંધોને પણ મજબૂત બનાવશે., નાણા મંત્રાલયે જણાવ્યું કે આ સિસ્ટમ ભારત અને નેપાળ વચ્ચે મજબૂત આર્થિક અને ડિજિટલ સંબંધોને પ્રોત્સાહન આપે છે. તેમજ સરહદ પાર ચુકવણી માટેના પ્રાદેશિક લક્ષ્યો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે જે ફક્ત અનુકૂળ જ નહીં પણ સુરક્ષિત અને ખર્ચ-અસરકારક પણ છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે આ નવી સિસ્ટમ બંને દેશો વચ્ચેના સામાજિક-આર્થિક સબંધોને મજબૂત બનાવવામાં મદદ કરશે.