Wed Aug 19 2026

Logo

ભારત પ્રથમ ટેસ્ટમાં કદાચ ત્રણ સ્પિનરને મેદાન પર ઊતારશે અને ત્રણેય છે...

Galle   2026-08-13 22:05:25
Author: Ajay Motiwala
Article Image

ગૉલઃ શનિવાર, 15મી ઑગસ્ટે અહીં શ્રીલંકા સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની પિચ ખૂબ ચર્ચામાં છે અને એને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા (Team India)ના બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે સંકેત આપ્યો છે કે આ મૅચ માટે ત્રણ સ્પિનરને મેદાન પર ઊતારવામાં આવશે. આ ત્રણેય સ્પિનર ડાબોડી છે.

બીજી અને છેલ્લી ટેસ્ટ કોલંબોમાં રમાશે, પરંતુ એ પહેલાં ગૉલ (Galle)ની ટેસ્ટમાં શુભમન ગિલ ઍન્ડ કંપનીની આકરી કસોટી થશે જેનું કારણ એ છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવી સીઝન માટે બન્ને દેશ ઉપરના રૅન્કિંગમાં આવવા ભારે રસાકસીમાં ઊતરી રહ્યા છે.

શનિવારની ગૉલની પ્રથમ ટેસ્ટ (First Test)માં ભારતીય ટીમ-મૅનેજમેન્ટ કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને માનવ સુથારને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવશે એવી સંભાવના છે. ભારત પાસે સારાંશ જૈનના રૂપમાં નવો ઑફ-સ્પિનર પણ છે.

બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, `અમારી પાસે કુલદીપના રૂપમાં આક્રમક સ્પિનર છે. તેનો અનુભવ અને સ્પિનર તરીકેનું તેનું લેવલ અમારા માટે બેહદ મહત્ત્વપૂર્ણ છે. મારા મતે આ ત્રણેય સ્પિનરમાં અલગ-અલગ ખાસિયત છે. એક (માનવ સુથાર) બૉલને થોડો વધુ ટર્ન કરે છે, જ્યારે બીજો (રવીન્દ્ર જાડેજા) અન્યો કરતાં થોડો વધુ સચોટ છે. મને નથી લાગતું કે ટીમમાં ત્રણ લેફ્ટ-આર્મ સ્પિનરને રાખવા એ અમારા માટે મોટો મુદ્દો છે. કૅપ્ટન (શુભમન ગિલ) ચોક્કસ સમયે કયા બોલરનો ઉપયોગ કરશે એના પર નિર્ભર રહેશે. ટૂંકમાં, આ તમામ બોલર્સ મૅચમાં બધી 20 વિકેટ લઈ શકે એમ છે.'

મૉર્ની મૉર્કલનું એવું પણ કહેવું છે કે `ભારતને સ્પિન આક્રમણને કારણે આક્રમક અભિગમનો સારો વિકલ્પ મળી ગયો છે. ખાસ કરીને ગૉલની પિચની વાત કરું તો મૅચ આગળ વધશે એમ સ્પિનરોને વધુ લાભ મળતો જશે. આ મેદાનની પિચની પરંપરા જોઈએ તો અહીં ત્રણ સ્પિનર સાથે રમવું એ સારો નિર્ણય બની શકે.'