Wed Aug 19 2026

Logo

ભારતને છ વિકેટની જરૂર, હવે તો શ્રીલંકાને મેઘરાજા જ બચાવી શકે

Galle   2026-08-18 20:14:22
Author: Ajay Motiwala
Article Image

PTI


372 રનના લક્ષ્યાંક સામે યજમાન ટીમના ચાર વિકેટે 84 રન

ગૉલઃ ભારતે અહીં મંગળવારે યજમાન શ્રીલંકાને સિરીઝની પ્રથમ ટેસ્ટ (સવારે 10.00 વાગ્યાથી)માં ચોથા દિવસે પરાજયની દિશામાં વધુ ધકેલ્યું હતું અને બુધવારે ભારતને જીતવા માટે ફક્ત છ વિકેટની જરૂર છે. શ્રીલંકાએ 372 રનના પડકારરૂપ લક્ષ્યાંક સામે 84 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. શ્રીલંકાએ હજી બીજા 288 રન બનાવવાના બાકી હતા. કૅપ્ટન ધનંજય ડિસિલ્વા 31 રને અને સાથી ખેલાડી સોનલ દિનુશા પચીસ રને રમી રહ્યો હતો. બુધવારના અંતિમ દિવસે મેઘરાજા નહીં નડે તો ભારતના વિજયની મોટી સંભાવના છે. ભારતે પ્રથમ દાવમાં 178 રનની જે સરસાઈ લીધી હતી એ હવે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

ગૉલ (Galle)માં વરસાદ પડવાની આગાહી છે, પણ ભારતીય બોલર્સ (ખાસ કરીને સ્પિન ત્રિપુટી માનવ સુથાર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ) ટીમને વહેલાસર વિજય અપાવીને 1-0થી સરસાઈ અપાવી દેવા કોઈ કસર બાકી નહીં રાખે. પ્રથમ દાવમાં આ ત્રિપુટીએ 11માંથી આઠ વિકેટ લીધી હતી. માનવે એ ઇનિંગ્સમાં ચાર, જાડેજાએ ત્રણ અને કુલદીપે એક વિકેટ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે માનવે મંગળવારે શ્રીલંકાના બીજા દાવની ચારમાંથી બે વિકેટ મેળવી હતી. બે મહિના પહેલાં અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ રમીને તેણે મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો અને આ વખતે પણ સતત બીજો અવૉર્ડ જીતવા માટે દાવેદાર કહી શકાય.

પંતનો પરચો અને પછી બોલર્સની બોલબાલા

ઋષભ પંત (66 રન, 69 બૉલ, 103 મિનિટ, બે છગ્ગા, આઠ ચોગ્ગા) મંગળવારના બીજા દિવસનો હીરો હતો. તેણે તેમ જ પ્રથમ દાવના સેન્ચુરિયન દેવદત્ત પડિક્કલે 44 રન તેમ જ કે. એલ. રાહુલે 35 રનના સાધારણ યોગદાન સાથે ભારત (India)ને બીજા દાવમાં 193 રનનો સન્માનજનક સ્કોર અપાવ્યો હતો જેના થકી ભારત યજમાન ટીમને 178 રનની સરસાઈ ઉમેરીને 372 રનનો લક્ષ્યાંક આપી શક્યું હતું. શ્રીલંકાએ 84 રનમાં જે ચાર વિકેટ ગુમાવી એમાંથી બે વિકેટ સ્પિનર માનવ સુથારે અને એક-એક વિકેટ સિરાજ તથા ક્રિષ્નાએ લીધી હતી. 

ભારતના વિજયની સંભાવના કેમ વધુ?

જો વરસાદ વિઘ્નો ઊભા ન કરે તો બુધવારે ભારતના વિજયની સંભાવના વધુ હોવાના બે કારણ છેઃ (1) શ્રીલંકાને જીતવા 372 રનનો લક્ષ્યાંક મળ્યો છે અને ગૉલમાં સૌથી વધુ સફળ ચેઝનો આંકડો 344 રનનો છે જે પાકિસ્તાને 2022ની સાલમાં મેળવ્યો હતો. (2) ગૉલમાં 1998 પછી અત્યાર સુધીમાં 200-પ્લસનો લક્ષ્યાંક માત્ર બે વખત મેળવવામાં આવ્યો છે. (3) શ્રીલંકાએ મંગળવાર સાંજ સુધીમાં જે ચાર વિકેટ ગુમાવી એ ચારેય બૅટ્સમેન પાસે શ્રીલંકાને જીતવાની સૌથી વધુ અપેક્ષા હતીઃ નિશાન ફર્નાન્ડો (છ રન), લાહિરુ ઉડારા (16 રન), પાસિન્દુ સૂર્યાબંદારા (0) અને કામિન્ડુ મેન્ડિસ (બે રન).

PTI

યશસ્વી જયસ્વાલનો ઝીરો

મંગળવારે લંચ વખતે ભારતનો બીજા દાવનો સ્કોર ચાર વિકેટે 116 રન હતો. પહેલા દાવનો સેન્ચુરિયન દેવદત્ત પડિક્કલ લંચ પહેલાં 44 રને આઉટ થયો હતો. જોકે યશસ્વી જયસ્વાલ (0) બીજી ઈનિંગ્સના ત્રીજા જ બૉલ પર શૂન્યમાં આઉટ થઈ ગયો હતો. તેણે પ્રથમ દાવમાં 32 રન બનાવ્યા હતા. પહેલા દાવમાં 82 રનમાં વિકેટ ગુમાવનાર કે. એલ. રાહુલ 35 રનમાં સબસ્ટિટયૂટ ખેલાડીના હાથમાં કૅચઆઉટ થયો હતો. કેપ્ટન શુભમન ગિલ ફક્ત આઠ બનાવીને સ્પિનર પ્રભાત જયસૂર્યાને વિકેટ આપી બેઠો હતો. 

પહેલા દાવમાં માનવ સુથાર (76 રનમાં ચાર વિકેટ) અને રવીન્દ્ર જાડેજા (57 રનમાં ત્રણ વિકેટ) તેમ જ કુલદીપ યાદવ (65 રનમાં એક વિકેટ)ની સ્પિન ત્રિપુટીનો પર્ફોર્મન્સ ઘણો સારો હતો. એ જોતાં બીજા દાવમાં આ ત્રિપુટી શ્રીલંકાના બૅટ્સમેનોને ફરી એક વાર ભારે પડી શકે.

પહેલા દાવમાં ભારતના 462 રનના જવાબમાં શ્રીલંકાએ 284 રન બનાવ્યા હતા અને ભારતે 178 રનની લીડ મેળવી હતી. બુધવારે આ મૅચ પૂરી થયા પછી 23મી ઑગસ્ટે કોલંબોમાં બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ શરૂ થશે.