Thu Jun 18 2026

Logo

BSNLને બેઠી કરવા સરકારે કેટલા કરોડનો કર્યો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો

2025-12-10 13:16:00
Author: MayurKumar Patel
Article Image

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આજે ડો. કોકલી ઘોષ દસ્તીગરે BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ)ને રિવાઈવલ પેકેજ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, છેલ્લા 10 વર્ષમાં બીએસએનએલને બેઠી કરવા કેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. શું આ રકમ બાદ બીએસએનએલ ફરી નફો કરતી થઈ છે કે કેમ તથા દેશવ્યાપી 4G અને 5G સર્વિસ લોન્ચ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે અને સર્કલ વાઈઝ શું સ્થિતિ છે તે જણાવવા વિનંતી.

જેના જવાબમાં સંચાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વર્ષ 2019માં આશરે 69,000 કરોડનું પ્રથમ રિવાઈવલ પેકેજ આફવામાં આવ્યું હતું. જેનાથી ખર્ચ ઓછો થયો હતો. 2022માં આશરે 1,64,000 કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું. જેમાં નવેસરથી મૂડી રોકાણ, લોન રિસ્ટ્રક્ચરિંગ, ગામડામાં નેટવર્ક સુધારવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

વર્ષ 2023માં 4G અને 5G માટે સરકારે બીએસએનએલને લગભગ રૂ. 89,000ની કરોડની ફાળવણી કરી હતી.  વર્ષ 2025માં દેશમાં 4G નેટવર્ક રોલ આઉટ કરવા માટે વધારાના ફંડ તરીકે રૂ. 6982 કરોડની રકમ આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂપિયા 2,54,574.39 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે.