Sat Sep 05 2026

Logo

હિમાચલમાં કાલકા-શિમલા રેલ્વે રૂટ ભૂસ્ખલન બાદ પ્રભાવિત, 400 મુસાફરોને બચાવી લેવાયા

2026-08-30 22:53:58
Author: Chandrakant Kanoja
હિમાચલમાં કાલકા-શિમલા રેલ્વે રૂટ ભૂસ્ખલન બાદ પ્રભાવિત, 400 મુસાફરોને બચાવી લેવાયા

X


શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ સોલન જિલ્લામાં કાલકા-શિમલા રેલ્વે રૂટ પર પાટા નીચે જમીન ધસી પડી હતી.  આ ઘટના બાદ 10 ટ્રેનો રદ કરવી પડી છે.  જ્યારે ટ્રેનોમાં સવાર 400 થી વધુ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર સતત વરસાદને કારણે ભૂસ્ખલન થવાથી શનિવારે રાત્રે કોટી અને ઘુમ્મન સ્ટેશનો વચ્ચેના ટ્રેકનો એક ભાગ નબળો પડી ગયો હતો.

કોટી અને ઘુમ્મન સ્ટેશનો વચ્ચે ભૂસ્ખલન

રેલવેના જણાવ્યા અનુસાર "યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શિમલા-કાલકા સેક્શન પર કોટી અને ઘુમ્મન સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 57 પર ભૂસ્ખલન બાદ ઉત્તર રેલવેના અધિકારીઓએ મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે તાત્કાલિક અને સરળતાથી બચાવ કામગીરી હાથ ધરી હતી.

400 થી વધુ મુસાફરો અને ટ્રેન ક્રૂ સભ્યોનું રેસ્ક્યૂ 

આ  ઘટના પછી આવનારી ચાર ટ્રેનોને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. રેલવેએ અહેવાલ આપ્યો છે કે સોલન, કોટી અને ધરમપુરથી પાંચ બસો અને બે ટેમ્પો ટ્રાવેલર્સનો ઉપયોગ કરીને 400 થી વધુ મુસાફરો અને ટ્રેન ક્રૂ સભ્યોને પરિવહન કરાવવામાં  આવ્યું હતું.

શિમલા રેલ્વે સ્ટેશન સૂમસામ જોવા મળ્યું 

આ અગાઉ રેલવે  અધિકારીઓએ જણાવ્યું હતું કે સોલન જિલ્લામાં ટ્રેકના એક ભાગ નીચેથી માટી ધોવાઈ જવાથી શિમલા-કાલકા નેરોગેજ રેલ્વે લાઇન પર દસ ટ્રેનો રદ કરવામાં આવી હતી. જેના લીધે પ્રવાસીઓથી ધમધમતું  શિમલા રેલ્વે સ્ટેશન  રવિવારે એકદમ શાંત જોવા મળ્યું હતું.

શિમલા-કાલકા લાઇન પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ

ભારે  વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ ચોમાસામાં કાલકા-શિમલા હેરિટેજ રેલ્વે લાઇન પર ટ્રેન સેવાઓ ઘણી વખત ખોરવાઈ ગઈ છે. 96 કિલોમીટર લાંબી શિમલા-કાલકા લાઇન, જે અતિ મનોહર છતાં પડકારજનક ભૂપ્રદેશને પાર કરે છે. તે એન્જિનિયરિંગની અજાયબી છે અને પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણ છે. આ લાઇનમાં 102 ટનલ, 800 પુલ અને 919 વળાંકો છે.