Thu Jun 18 2026

Logo

ગૌતમ ગંભીર વાનખેડેની પિચથી નારાજ છે?

2026-03-04 16:51:06
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતની નૉકઆઉટ મૅચ રમાવાની હોય અને વાત જો મુંબઈના વાનખેડે સ્ટેડિયમની પિચની હોય તો દુનિયાભરનું ધ્યાન એના તરફ ખેંચાય અને અહીં તો આપણે એવા એક અહેવાલ પર ચર્ચા કરવાની છે જેમાં જણાવાયું છે કે હેડ-કોચ ગૌતમ ગંભીર વાનખેડે (Wankhede)માં ગુરુવારની ઇંગ્લૅન્ડ સામેની સેમિ ફાઇનલ માટેની પિચ (pitch) બાબતમાં પિચ ક્યૂરેટરથી થોડો નારાજ છે.

વાનખેડેની પિચ પર ઘણું ઘાસ જોવા મળ્યું જેના પરથી સ્પષ્ટ લાગે છે કે ફાસ્ટ બોલર્સને આ પિચ પર મજા પડી જશે. બીજું, અહીં બૅટ્સમેનો પર ઝડપી બોલર્સ હાવી થઈ શકે. સોશ્યલ મીડિયા પરની તસવીર જોતાં લાગ્યું કે ગૌતમ ગંભીર (Gambhir) પિચ ક્યૂરેટર સાથે જે રીતે ચર્ચા કરી રહ્યો એના પરથી લાગતું હતું કે ગંભીર તેમનાથી નારાજ હતો. બીજી રીતે કહીએ તો ગંભીરે ધાર્યું હતું એવી પિચ નથી બની.

2024માં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું ત્યારે રાહુલ દ્રવિડ હેડ-કોચ હતો. અત્યારે સૂર્યકુમાર યાદવ કૅપ્ટન છે એટલે તેણે તો પહેલી વાર કૅપ્ટન તરીકે વિશ્વ કપનો તાજ પોતાના નામે લખાવવાનો જ છે, ગૌતમ ગંભીર પણ દ્રવિડની માફક આ સર્વોચ્ચ ટ્રોફી પર પોતાનું નામ અંકિત કરાવવા તત્પર હશે.

ખાસ વાત એ છે કે ઇંગ્લૅન્ડના ઓપનર ફિલ સૉલ્ટ તેમ જ પીઢ બૅટ્સમૅન જૉસ બટલર આ પ્રકારની પિચ પર રમતા હોય છે એટલે તેમને માટે આવતી કાલનો દિવસ વાનખેડેમાં સ્વર્ગ બની શકે. આ પિચ પર ભારતીય બૅટ્સમેનો પણ રનનો ઢગલો કરવા કોઈ કસર બાકી નહીં રાખે, પરંતુ સવાલ એ છે કે ભારતના ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, શિવમ દુબેની આકરી કસોટી થશે. એ જ રીતે, સામા પક્ષેથી જોફ્રા આર્ચર, સૅમ કરૅન, લ્યૂક વૂડ, જૅમી ઑવર્ટન વગેરેની પરીક્ષા થશે.